Tue Jun 23 2026

Logo

બિશ્નોઈ ગૅન્ગને નામે ખંડણી માટે ધમકી પછી ફૅક્ટરી પર ગોળીબાર

2026-06-23 16:52:01
Author: Yogesh C Patel
Article Image

પુણે: કુખ્યાત લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગને નામે ધમકીભર્યો કૉલ કર્યા પછી પુણેના બિઝનેસમૅનની ફૅક્ટરી પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.આ પ્રકરણે સ્ટીલના ઉત્પાદનોનો વ્યવસાય ધરાવતા અમોલ રાજેન્દ્ર ચમાદાઈએ સૌપ્રથમ વાનવડી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. જોકે ઘટના ફુરસુંગી પોલીસ સ્ટેશનની હદમાં બની હોવાથી બાદમાં ચમાદાઈએ ફુરસુંગી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં બિઝનેસમૅને જણાવ્યું હતું કે સોમવારની સાંજે 4.30 વાગ્યે અજાણ્યા શખસે તેને કૉલ કર્યો હતો. કૉલ કરનારા શખસે પોતાની ઓળખ ‘આરઝુ બિશ્ર્નોઈ’ તરીકે આપી હતી. જાનની ધમકી આપી શખસે ખંડણી માગી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.ચમાદાઈ ફુરસુંગી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતો હતો એ જ સમયે રાતે 8.10 વાગ્યાની આસપાસ તેની ફૅક્ટરી પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ચાર રાઉન્ડ ફાયર કરી હુમલાખોર ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં કોઈને પણ ઇજા થઈ નહોતી.

ફરિયાદને આધારે ફુરસુંગી પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ એફઆઈઆર નોંધ્યો હતો. ખંડણી માટે ધમકી અને ગોળીબારની ઘટના એકબીજા સાથે સંકળાયેલી છે કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે. (પીટીઆઈ)