અમદાવાદઃ અમદાવાદ ઝોનલ ઓફિસની (ઈડી) દ્વારા મની લોન્ડરિંગ કેસમાં અનિલ ન્યુટ્રિએન્ટ્સ લિમિટેડ અને તેના ડિરેક્ટર અમોલ શ્રીપાલ શેઠ સહિત 7 આરોપીઓ સામે પ્રોસિક્યુશન ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કેસ બેંક ઓફ ઈન્ડિયા સાથે થયેલા અંદાજે ₹47.88 કરોડના બેંક ફ્રોડ સાથે સંબંધિત છે.
ઈડીની તપાસ સીબીઆઈ દ્વારા નોંધાયેલા એફઆઈઆરના આધારે શરૂ કરવામાં આવી હતી. સીબીઆઈએ તપાસ પૂર્ણ કર્યા બાદ અમોલ શ્રીપાલ શેઠ સહિત 7 લોકો સામે અમદાવાદની કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી છે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે અનિલ ન્યુટ્રિએન્ટ્સ લિમિટેડ અને તેના ડિરેક્ટરે બેંક પાસેથી લેવામાં આવેલા લોનના નાણાં સિસ્ટર કંપનીઓમાં ખોટા અને બોગસ ટ્રાન્ઝેક્શન દ્વારા ટ્રાન્સફર કર્યા હતા. કંપનીઓ વચ્ચે શંકાસ્પદ વ્યવહારો બતાવી ગ્રુપ કંપનીઓનો ટર્નઓવર કૃત્રિમ રીતે વધારવામાં આવ્યો હતો.
ઈડી દ્વારા મની લોન્ડરિંગ કેસમાં અમોલ શ્રિપાલ શેઠ અને અનિલ ગ્રુપ સાથે જોડાયેલા લોકોના સ્થળોએ સર્ચ ઓપરેશન પણ હાથ ધરાયા હતા. તપાસ દરમિયાન બેંકમાં ગીરવે ન રાખવામાં આવેલી મિલકતો સંબંધિત મહત્વના પુરાવા પણ મળ્યા હતા.
આ કેસમાં ઈડી દ્વારા લગભગ ₹5.39 કરોડની અચલ મિલકતોને પ્રોવિઝનલ એટેચમેન્ટ ઓર્ડર દ્વારા જપ્ત કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે