Wed Jul 29 2026

Logo

ભારતમાં વિશ્વના 30 ટકા વાઘ: નાગપુરમાં દેવેન્દ્ર ફડણવીસે આપ્યું મોટું નિવેદન

2026-07-29 21:11:08
Author: Mumbai Samachar Team
Article Image

નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે નાગપુરમાં જણાવ્યું હતું કે ભારતમાં હવે વિશ્વના લગભગ 30 ટકા વાઘ નિવાસ કરતા હોવાથી વાઘ સંરક્ષણમાં આપણું સ્થાન વૈશ્વિક નેતાનું છે. વન વિભાગ, તેના અધિકારીઓ, કર્મચારીઓ અને સામાજિક સંગઠનોના સંનિષ્ઠ પ્રયાસોને કારણે મહારાષ્ટ્રે વન્યજીવન સંરક્ષણમાં પણ નોંધપાત્ર પ્રગતિ કરી છે. 

ફડણવીસ આઈઆઈએમ, નાગપુર ખાતે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય પુરસ્કારો - 2026 વિતરણ સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. આ કાર્યક્રમ મહારાષ્ટ્ર વન વિભાગની વાઇલ્ડલાઇફ વિંગ અને એશિયાટિક બિગ કેટ સોસાયટી દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવ્યો હતો.

મુખ્ય પ્રધાનએ વન્યજીવન સંરક્ષણમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ ત્રણ વ્યક્તિને રાષ્ટ્રીય પુરસ્કાર - 2026 અર્પણ કર્યા હતા. મહારાષ્ટ્રમાં વન્યજીવન સંરક્ષણ, સંરક્ષિત વિસ્તાર વ્યવસ્થાપન, વન્યજીવન ગુના તપાસ અને સમુદાય-આધારિત સંરક્ષણમાં 25 વર્ષથી વધુ કાર્ય માટે વિશાલ બંસોડને આ પુરસ્કાર મળ્યો હતો. 

ચંદ્રપુર જિલ્લાના સાતારા ગ્રામ પંચાયતના સરપંચ ગજાનન ગુલ્હાડેને  ગ્રામીણ વિકાસ, સ્વચ્છતા અને સામાજિક કલ્યાણમાં તેમના કાર્ય બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. વન રક્ષક વી.એ. ડોંગરેને વન્યજીવન અને વન સંરક્ષણમાં 14 વર્ષથી વધુ સમર્પિત સેવા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રત્યેક પુરસ્કારમાં 51 હજાર રૂપિયા રોકડ પુરસ્કાર, સ્મૃતિ ચિહ્ન અને પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યા હતા.