Sun Apr 19 2026

Logo

પશ્ર્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે કેન્દ્ર સરકાર ઉર્જા સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા માટે પગલાં લઈ રહ્યું છે: ફડણવીસ

2026-03-09 21:34:56
Author: Vipul Vaidya
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે ખાતરી આપી હતી કે પશ્ર્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે કેન્દ્ર સરકાર ઉર્જા સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા અને આવશ્યક સંસાધનોની કોઈપણ અછતને રોકવા માટે પૂરતા પગલાં લઈ રહી છે.

અહીં વિધાન ભવનના પરિસરમાં પત્રકારો સાથે વાત કરતા, ફડણવીસે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ઉર્જા સ્ત્રોતોનું સક્રિયપણે સંચાલન કરી રહ્યું છે અને વિશ્ર્વભરમાં ચાલી રહેલી ગતિવિધિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.

કોઈપણ વસ્તુની અછત ન રહે તે માટે તમામ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે. કોઈએ અફવાઓ ફેલાવવી જોઈએ નહીં કે અફવાઓ પર વિશ્ર્વાસ ન કરવો જોઈએ. જો આપણે અફવાઓના આધારે સ્ટોક કરવાનું શરૂ કરીશું, તો પરિસ્થિતિ દરેક માટે વધુ ખરાબ થશે, કારણ કે તે માગણી અને પુરવઠાની શૃંખલાને ખલેલ પહોંચાડશે, તેમણે સંભવિત ઇંધણની અછત વિશેના પ્રશ્ર્નનો જવાબ આપતા કહ્યું હતું. 

તેમણે નાગરિકોને ગભરાવાની જરૂર નથી તેવી વિનંતી કરી હતી. 

ઇરાક, કુવૈત અને યુએઈએ તેમના તેલ ઉત્પાદનમાં ઘટાડો કર્યો છે, જ્યારે ઈરાન, ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સે આ મહિનાની શરૂઆતમાં પશ્ર્ચિમ એશિયામાં સંઘર્ષ શરૂ થયો ત્યારથી તેલ અને ગેસ સુવિધાઓ પર હુમલો કર્યો છે, જેનાથી પુરવઠાની ચિંતા વધી ગઈ છે.

સોમવારે ક્રૂડ ઓઇલના ભાવ 26 ટકાથી વધુ વધીને પ્રતિ બેરલ રૂ. 10,549 ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. 

મુખ્ય પ્રધાને ધ્યાન દોર્યું કે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ટેરિફ યુદ્ધ શરૂ થયું, ત્યારે ભારતે પીછેહઠ કરી નહોતી, પરંતુ તેના બદલે તેની સાર્વભૌમત્વનો દાવો કરીને વિવિધ દેશો સાથે વેપાર કરારો આગળ ધપાવ્યા હતા. 

તેમણે ઉમેર્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પરિસ્થિતિને અસરકારક રીતે સંભાળી હતી અને દેશના હિતોનું રક્ષણ કરવા માટે યોગ્ય સંદેશાવ્યવહાર જાળવી રાખ્યો હતો.