Mon Sep 07 2026

Logo

ચેમ્બુરમાં ઝાડ તૂટી પડવાની દુર્ઘટનાની થર્ડ પાર્ટી મારફત થશે તપાસ

2026-07-31 09:33:00
Author: Sapna Desai
ચેમ્બુરમાં ઝાડ તૂટી પડવાની દુર્ઘટનાની થર્ડ પાર્ટી મારફત થશે તપાસ

સમિતિમાં ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલરની નિમણૂક
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચેમ્બુરમાં ડાયમંડ ગાર્ડન નજીક એક સ્કૂલ બસની ઉપર ૩૦ જૂન, ૨૦૨૬ ના રોજ  જૂનું અને  પીપળાનું ઝાડ તૂટી પડ્યું હતું, જેમાં ૧૧ વર્ષના વિહાન શ્રીવાસ્તવ નામના વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું અને ચાર અન્ય વિદ્યાર્થી જખમી થયા હતા. મેયર રીતુ તાવડે અને સામાન્ય સભા દ્વારા આપવામાં આવેલા નિર્દેશ અનુસાર પાલિકા પ્રશાસને આ અકસ્માતની ફરીથી તપાસ કરવા માટે વનસ્પતિશાસ્ત્ર નિષ્ણાત અને ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલર 

ડૉ. સંજય દેશમુખની એક સભ્ય સમિતિ તરીકે નિમણૂક કરી છે. પ્રશાસને તેમને એક મહિનાની અંદર પોતાનો અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.
ચેમ્બુર અકસ્માતની સંપૂર્ણ તપાસ કરવા માટે પાલિકા પ્રશાસને  શરૂઆતમાં એક સમિતિની રચના કરી હતી. આ સમિતિ દ્વારા રજૂ કરાયેલા વિગતવાર અહેવાલને મુંબઈના મેયર  રીતુ તાવડે તેમ જ નગરસેવકોએ નકારી કાઢ્યો હતો. આ તપાસમાં કડક કાર્યવાહી અને કડક દંડાત્મક ભલામણોનો અભાવ હતો. તેમણે થર્ડ પાર્ટી અને નિષ્ણાત વ્યક્તિની નિમણૂક કરવા અને ફરીથી તપાસ કરવા માટે પણ નિર્દેશ આપ્યો હતો.

પાલિકા પ્રશાસન દ્વારા ફરીથી તપાસ માટે નિયુક્ત કરાયેલા પ્રો. ડૉ. સંજય વી. દેશમુખ વનસ્પતિશાસ્ત્રના નિષ્ણાત છે. તેમણે મેન્ગ્રોવ્સ પર નોંધપાત્ર કાર્ય કર્યું છે. તેમણે મુંબઈ યુનિવર્સિટીના ચાન્સેલર તરીકે પણ સેવા આપી છે. તેઓ હાલમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેમિકલ ટૅકનોલૉજી (મુંબઈ) ખાતે આસિસ્ટન્ટ  પ્રોફેસર અને એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈના ઉપપ્રમુખ તરીકે કાર્યરત છે. આ ક્ષેત્રમાં તેમના અનુભવ અને કાર્યને ધ્યાનમાં રાખીને તેમને આ તપાસ સમિતિમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. 

એક સભ્યની સમિતિ નીચેની બાબતોનો અભ્યાસ કરશે અને એક મહિનાની અંદર તેનો અહેવાલ રજૂ કરશે. પ્રારંભિક તપાસ સમિતિ દ્વારા ઉપયોગમાં લેવાતી પદ્ધતિની તપાસ,  પ્રારંભિક તપાસ સમિતિ દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓનું સ્વતંત્ર વિશ્ર્લેષણ, એન્જિનિયરિંગ, વનસ્પતિશાસ્ત્ર, ઇકોલોજી, પાણીના નિકાલ, ગટરના નિકાલ, માર્ગ બાંધકામ, આબોહવા, માટી વિજ્ઞાન અને જાહેર વહીવટના દ્રષ્ટિકોણથી પ્રારંભિક તપાસ અહેવાલનું તબીબી મૂલ્યાંકન, પ્રારંભિક તપાસ અવલોકનોનું વૈજ્ઞાનિક પરીક્ષણ,  ઘટનાના મૂળ કારણનું સ્વતંત્ર વિશ્ર્લેષણ, પ્રારંભિક તપાસ સમિતિ દ્વારા ભલામણ કરાયેલા વચગાળાના પગલાનું મૂલ્યાંકન, અહેવાલમાં ભલામણોની વિવેચનાત્મક તપાસ, માનનીય મ્યુનિસિપલ કોર્પોરેશનને સુપરત કરવાનો સ્વતંત્ર અર્થઘટનાત્મક મૂલ્યાંકન અહેવાલ, ભવિષ્યમાં નીતિગત સુધારા સૂચવવા વગેરે રહેશે. 

તમામ સંબંધિત વિભાગના વડાઓને આ સમિતિને તપાસ માટે જરૂરી દસ્તાવેજો પૂરા પાડવા અને સ્થળ મુલાકાત દરમિયાન હાજર રહેવા સૂચના આપવામાં આવશે.