ફોટોઃ વિપુલ હિરાણી
ભાવનગરઃ જિલ્લાના તળાજાના હોલસેલ અને છૂટક કેરીના ભાવમાં આજે ભૂતકાળમાં કદી ન સાંભળ્યા હોય તેવા ભાવ બોલાયા હતા.ભીમ અગિયારસનું પર્વ કેરીના તમામ વેપારીઓને ફળ્યું હતું. કેરીના હાઈએસ્ટ ભાવ છતાંય મહત્વની વાત એ હતીકે એકપણ વેપારી પાસે ઢળતી સાંજે ભરેલી વખારો ખાલી થઈ ગઈ હતી.
અધિકજેઠ માસ(પુરુષોત્તમ માસ) ભક્તિ સાથે ઉત્સાહ મય રીતે પસાર થયો.સોમવતી અમાસે ખાસ કરીને બહેનોએ ભક્તિની સાથે છૂટથી રૂપિયા વાપર્યા,તળાજા મા તો ડી.જે બોલાવીને મહિલાઓએ ઉજવણી કરી,વન ભોજન ની મજાલૂંટી બાદ આજે ભીમ અગિયારસનું પર્વપણ ભારે ઉમંગ સાથે ઉજવાયું હતું. ગોહિલવાડ સહિત સૌરાષ્ટ્રમા ભીમ અગિયારસ એ ઉપવાસ,બહેન દીકરીઓ ને પિયર તેડાવવી અને કેરીસાથે ના જમણ ની પરંપરા ની ઉજવણી ના ભાગ રૂપે આજે ખાસ કેસર કેરીની બજારમા વહેલી સવાર થીજ ઘરાકી જોવા મળી હતી.
વખારોમાં ખૂટ્યો સ્ટોક
પીઠમા હરાજી કરતા સીદીકભાઈ મેમણે જણાવ્યું હતુ મેં આજ સુધી આટલો ઉંચો ભાવ ભીમ અગિયારસ ના દિવસે કદી જોયો નથી.હોલસેલ પીઠમાં પાકી કેરી રૂ.૪૬૦૦ની મણ વેચાઈ હતી.છૂટક કેરી વેંચતા વેપારીઓએ અનુભવના આધારે દસ-પંદર દિવસ પહેલાથીજ કાચી કેરીનો સ્ટોક કરવાનું શરૂ કરી દીધું હતું. જેથી ભીમ અગિયારસના દિવસે કેરી પાકી જાય ને બજારમાં વેચવા મૂકી શકાય. ગઈકાલ સુધી તમામ વખારો છલોછલ હતી જે આજે સાંજે ખાલીખમ જોવા મળી હતી. દલાલના જણાવ્યા મુજબ અમુક છૂટક વેપારીઓ એકમણે એક હજારથી વધુ રૂપિયા કમાયા હશે.
હવે આવશે કાગડા કેરી
માત્ર કેરીમાં જ નહીં કેરીના રસની પણ મોટા પ્રમાણમાં માગ નીકળી હતી. અધિકમાસના કારણે હવે તળાજાના પીઠમાં કેસર કેરીનો ધંધો પૂર્ણ થયો હતો. હવે કાગડા સહિતની કેરીઓ આવશે, જે કેસરના પ્રમાણમાં ઘણી સસ્તી હશે.