Tue Jun 16 2026

Logo

"વીડિયોવાળો માણસ હું નથી, બદનામ કરવાનું કાવતરું" અકાલ તખ્તના આદેશ અંગે ભગવત માને કરી મોટી સ્પષ્ટતા

2026-06-16 16:27:56
Author: Devayat Khatana
Article Image

અમૃતસર: પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનને શીખ ધર્મની સર્વોચ્ચ ધાર્મિક સંસ્થા શ્રી અકાલ તખ્ત સાહિબે  “ગુરુ દ્રોહી” અને “પંથ વિરોધી” જાહેર કરવામાં આવ્યા તે મુદ્દે હવે ભગવંત માને મૌન તોડ્યું છે. તેમણે વાયરલ વીડિયો અંગેના તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને તેમને બદનામ કરવાના હેતુથી પ્રોપગેન્ડા ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે જે વ્યક્તિના આધારે અકાલ તખ્તે તેમની વિરુદ્ધ આદેશ જારી કર્યો છે તે વીડિયોમાં દેખાય રહેલ વ્યક્તિ તે નથી.

આગળ તેમણે કહ્યું હતુ કે વીડિયોમાં દેખાઈ રહેલ વ્યક્તિનો દેખાવ તેના કરતા બિલકુલ અલગ છે. ઉપરાંત તેમણે કહ્યું હતુ કે જ્યારે તેમને અકાલ તખ્ત પર બોલાવવામાં આવ્યા, ત્યારે તેમણે ત્યાં હાજર રહીને આ વાતની સ્પષ્ટતા કરી દીધી હતી.

ભગવંત માનનો આરોપ છે કે કેટલાક મોટા લોકો તેમની છબી ખરાબ કરવા માટે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. આ સાથે તેમણે દાવો કર્યો હતો કે આ વ્યક્તિઓ તેમના રાજકીય આકાઓના ઈશારે તેમના વિરુદ્ધ ખોટો પ્રચાર ફેલાવીને તેમને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમની સરકારે પંજાબના જળ સંસાધનો, કૃષિ, ખેડૂતો અને યુવાનોના રક્ષણ માટે અનેક નિર્ણયો લીધા છે, અને આ જ કારણે તેમને બદનામ કરવામાં આવી રહ્યા છે.

અરવિંદ કેજરીવાલે શું કહ્યું?
આ સમગ્ર વિવાદ વચ્ચે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક  અરવિંદ કેજરીવાલે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ભગવંત માનનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેમણે કહ્યું કે ભગવંત માનના સારા કામથી હતાશ થયેલા વિરોધીઓ તેમને ખોટું બોલીને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે લોકોને ભગવંત માનનો વીડિયો જોવા માટે પણ વિનંતી કરી હતી.