(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનર અશ્વિની ભિડેએ પાલિકાનું દૈનિક કામકાજ ઝડપથી થાય તે માટે આર્ટિફિશ્યિલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ટૅક્નોલોજીનો ઉપયોગ, ઈ-ઓફિસ તથા પેપરલેસ કામ કરવા પર ભાર આપ્યો છે. તેમ જ મુંબઈની વધતી લોકસંખ્યાનો વિચાર કરીને પ્રસ્તાવિત વોટર પ્રોજેક્ટને નક્કી કરેલી સમયમર્યાદામાં પૂર્ણ કરવાનો નિર્દેશ અધિકારીઓને આપ્યો છે.
પાલિકા કમિશનર અશ્વિની ભિડેએ શુક્રવારે જુદા જુદા વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી, જેમાં પ્રોપર્ટી ટેક્સ, ફાઈનાન્સ, વોટર સપ્લાય પ્રોજેક્ટ અને ઈન્ફોર્મેશન ટૅક્નોલોજી વિભાગની માહિતી મેળવી હતી. આ દરમ્યાન તેમણે નાગરિકોને જુદી જુદી નાગરી સુવિધા ઓછામાં ઓછા સમયમાં વધુ સારી પદ્ધતિએ કરી રીતે ઉપલબ્ધ કરી આપવા તેના પર ભાર કમિશનરે ભાર આપ્યો હતો.
અધિકારીઓ સાથે ચર્ચા દરમ્યાન કમિશનરને પાલિકાનો કારભાર વધુ કાર્યક્ષમ, પારદર્શક અને સરળ અને ઝડપી પદ્ધતિએ થાય તેના પર ધ્યાન આપવા કહ્યું હતું અને તે માટે ઈ-ઓફિસ, એઆઈ ટૅક્નોલોજી અને ઈન્ટિગ્રેટેડ સિટીઝન સર્વિસ પ્લેટફોર્મની અમલબજવણી વધુ ઝડપથી થાય તેવો નિર્દેશ પણ આપ્યો હતો.
હાલ જુદી જુદી સેવા માટે અલગ અલગ વોટ્સઍપ ચૅટબૉટ ચાલી રહ્યું છે તેને બદલે હવે ફક્ત એક જ ચૅટબૉટ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવવાનું છે. આ પ્લેટફોર્મ દ્વારા નાગરિકોને તમામ નાગરી સેવા, ફરિયાદ, રજિસ્ટ્રેશન, અરજીની સ્થિતિ સહિત અનેક સેવા ઉપલબ્ધ થવાની છે, તેને શક્ય એટલું જલદી અમલમાં મૂકવા પર પણ અશ્ર્વિની ભિડેએ ભાર આપ્યો હતો.
આ દરમ્યાન તેમણે મુંબઈના પાણી પુરવઠામાં વધારો કરવા માટે ચાલી રહેલા જુદા જુદા પ્રોજેક્ટને લઈને તેમણે નક્કી કરેલી મુદતમાં આ કામ પૂરા થાય અને મુંબઈગરાને વધારાનું પાણી ઉપલબ્ધ થાય તેના પર ધ્યાન આપવા અધિકારીઓને કહ્યું હતું.