Mon Jun 08 2026

Logo

આનંદ મહિન્દ્રાએ યુએઈમાં ફસાયેલા પર્યટકોની મદદ કરનાર ધીરજ જૈનના વખાણ કરીને લખ્યું 'અતિથિ દેવો ભવનું ઉત્તમ ઉદાહરણ'

2026-03-09 20:35:19
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ ભારતીય ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ યુએઈ (યુનાઈટેડ આરબ આમિરાત) સ્થિત ભારતીય ઉદ્યોગપતિ ધીરજ જૈનની પ્રશંસા કરી હતી. તેમણે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ વચ્ચે સંયુક્ત આરબ અમીરાતમાં ફસાયેલા મુસાફરોને મફત રહેવા અને પરિવહનની સુવિધા આપી હતી.

રાજસ્થાનમાં જન્મેલા ઉદ્યોગસાહસિક અને 1XL હોલ્ડિંગ્સના વડા જૈને ફ્લાઇટ બંધ થવાને કારણે યુએઈમાં ફસાયેલા લોકો માટે અજમાનમાં તેમના ફાર્મહાઉસના દરવાજા ખોલી નાખ્યા હતા. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા યુનાઇટેડ સ્ટેટ્સ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે ફ્લાઇટ રદ કરવામાં આવી હતી અને સમગ્ર પશ્ચિમ એશિયામાં મુસાફરી પર અસર થઇ હતી.  

આ બાબતથી પ્રભાવિત થઈને મહિન્દ્રાએ આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જૈનના કાર્યની પ્રશંસા કરી. પોતાની પોસ્ટમાં, મહિન્દ્રાએ કહ્યું કે દુબઈમાં ફ્લાઇટ્સ રદ કરવામાં આવી ત્યારે જૈને તેમના ફાર્મહાઉસમાં ઘણા ફસાયેલા ભારતીય પરિવારોનું સ્વાગત કર્યું, અને આ "અતિથિ દેવો ભવ"ના ભારતીય સાંસ્કૃતિક મૂલ્યની યાદ અપાવે છે, જેનો અર્થ થાય છે "મહેમાન ભગવાન સમાન છે."

મહિન્દ્રાએ અંતમાં લખ્યું કે ક્યારેક માનવતામાં લોકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે ફક્ત એક જ વ્યક્તિ દરવાજો ખોલે છે તેમણે જૈનને 'સલામ' કર્યા. તેમણે "મન્ડે મોટિવેશન" હેશટેગ સાથે પોસ્ટ પણ શેર કરી હતી.

ફ્લાઇટ બંધ થતા અજમાનમાં જૈનનું 11 બેડરૂમનું હોલિડે હોમ યુએઈમાં ફસાયેલા પ્રવાસીઓ માટે આશ્રયસ્થાન બની ગયું હતું. દુબઈમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે સેવાઓ ફરી શરૂ થવાની રાહ જોતા રહેઠાણ શોધતા ભારતીય પ્રવાસીઓને આ વિષે માહિતી આપ્યા પછી તેમની ઓફરે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.