મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના વિમાન અકસ્માતમાં કંઈક ભાંગફોડની શંકા વ્યક્ત કરીને તેની સઘન તપાસ કરાવવાની માંગણી તેમના પરિવારના સભ્યોથી લઈને અનેક લોકો કરી ચુક્યા છે.
આ બધા વચ્ચે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઈબી)ના પ્રાથમિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે અજિત પવારને લઈ જતું દુર્ભાગ્યપૂર્ણ ચાર્ટર્ડ વિમાન બારામતીમાં ક્રેશ થતાં પહેલાં કેટલાક ઝાડ સાથે અથડાયું હતું.
એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબળે મંગળવારે આ અહેવાલ પર એક વેધક પ્રશ્ન પૂછ્યો હતો કે, મને આશ્ચર્ય થાય છે કે આ વિમાનને ઝાડ સાથે અથડાતું કોઈએ કેમ નહોતું જોયું? કોઈકે તો તે જોયું હોત. આ પ્રશ્ન તેમણે પત્રકારો સાથે વાત કરતી વખતે પૂછ્યો હતો.
28 જાન્યુઆરીના રોજ બારામતીમાં લિયરજેટ 45 વિમાન ક્રેશ થયું હતું, જેમાં મહારાષ્ટ્રના તત્કાલીન નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપી પ્રમુખ અજિત પવાર સહિત પાંચેય લોકોના મોત થયા હતા.
એએઆઈબીના પ્રારંભિક અહેવાલ મુજબ, નજીકના ગામમાં સ્થાપિત કેમેરાના સીસીટીવી ફૂટેજમાં વિમાન જમણી તરફ વળેલું અને કેટલાક ઝાડ સાથે અથડાયું હતું અને પછી રનવેની સપાટીથી નીચાણમાં રહેલી જમીન પર અથડાઈને તરત જ આગમાં લપેટાઈ ગયું હતું.
(પીટીઆઈ)