કોલકાતા : પશ્ચિમ બંગાળમાં કારમી હાર બાદ મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે. ટીએમસીના કાર્યકરો અને નેતાઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જેમાં અનેક નેતાઓએ ટીએમસી છોડી છે તો બીજી તરફ ટીએમસી પણ એક્શનમાં આવી છે અને બે ધારાસભ્યોને પક્ષ વિરોધી પ્રવુતિ બદલ હાંકી કાઢ્યા છે.
કોઈપણ કિંમતે ગેરશિસ્ત સહન કરવામાં નહીં આવે
જેમાં ટીએમસીએ સંદીપન સાહા અને ઋતબ્રત બેનર્જીને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. આ બંને નેતાઓ પર પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો આરોપ છે. ટીએમસી હાઇકમાન્ડ શિસ્ત જાળવવા માટે આ કડક નિર્ણય લીધો છે. પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ કિંમતે ગેરશિસ્ત સહન કરવામાં નહીં આવે. આ બંને નેતાઓ હવે પાર્ટીનો ભાગ રહેશે નહીં.
બે ધારાસભ્યોએ બનાવટી સહીઓ અંગે ફરિયાદ કરી હતી
ટીએમસીએ આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ સચિવાલયમાં મીડિયા બ્રીફિંગ કર્યું. જેમાં તેમણે જણાવ્યું કે આ બે ધારાસભ્યોએ બનાવટી સહીઓ સંબંધિત એક મામલા અંગે વિધાનસભામાં ફરિયાદ નોંધાવી છે. આ મામલો શોભનદેવ ચટ્ટોપાધ્યાયને વિપક્ષના નેતા તરીકે પસંદ કરવા સંબંધિત હતો. આ ખુલાસાના થોડીવાર બાદ પાર્ટીએ હકાલપટ્ટીનો આદેશ જાહેર કર્યો હતો.
બેઠકોમાં વારંવાર ગેરહાજર રહ્યા હતા
જેમાં ટીએમસી પાર્ટીના ઉપાધ્યક્ષ ચંદ્રિમા ભટ્ટાચાર્યએ આ આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. આ ધારાસભ્યોને મોકલવામાં આવેલા પત્રમાં જણાવાયું છે કે તેઓ ટીએમસીના ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા હતા. તેમ છતાં તેઓ પાર્ટી નેતૃત્વ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકોમાં વારંવાર ગેરહાજર રહ્યા હતા. તેઓ એવી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું અને પાર્ટીના હિતોને નુકસાન પહોંચાડતા નિવેદનો આપતા જોવા મળ્યા હતા.