Wed Jul 29 2026

Logo

કોલસા કૌભાંડમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને સુપ્રીમની ક્લીન ચીટ, CJI સૂર્યકાતની બેન્ચે આદેશમાં શું કહ્યું?

2026-07-29 14:14:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કોલસા બ્લોક ફાળવણી કેસમાં પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ સામે ચાલી રહેલી ફોજદારી કાર્યવાહીને સમાપ્ત કરી દીધી છે. અદાલતે તેમની અપીલ સ્વીકારતા 11 માર્ચ 2015ના ટ્રાયલ કોર્ટના તે આદેશને રદ કરી દીધો, જેમાં CBIના ક્લોઝર રિપોર્ટને ફગાવીને સમન જારી કરવામાં આવ્યા હતા. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી પીઠે જણાવ્યું કે– CBI દ્વારા દાખલ કરવામાં આવેલા ક્લોઝર રિપોર્ટને ફગાવી દેવા માટે અથવા ડૉ. મનમોહન સિંહ વિરુદ્ધ સંજ્ઞાન લેવા માટે કોઈ નક્કર (Cogent) કારણ નહોતું.

સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણીઓ

કોર્ટે જણાવ્યું કે તેમણે બંને ક્લોઝર રિપોર્ટનો તમામ પક્ષોના વરિષ્ઠ વકીલોની સહાયતાથી વિસ્તારપૂર્વક અભ્યાસ કર્યો છે. તપાસ એજન્સીના રિપોર્ટને સ્વીકારવા કે અસ્વીકાર કરવા સંબંધિત સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરાયેલા સિદ્ધાંતોના આધારે તે સ્પષ્ટ છે કે CBIના ક્લોઝર રિપોર્ટને ફગાવી દેવાનો કોઈ નક્કર આધાર નહોતો. તેથી અડાલતે ડૉ. મનમોહન સિંહની અપીલ મંજૂર કરતા 11 માર્ચ 2015ના આદેશ અને તેમના વિરુદ્ધ જારી કરાયેલા સમનને રદ કરી દીધા છે.

અન્ય બાબતો પર નહીં પડે અસર

સુનાવણી દરમિયાન એક વકીલે પૂછ્યું કે શું આ નિર્ણયની અસર એ જ મામલા સાથે જોડાયેલા અન્ય આરોપીઓની લંબિત અપીલો પર પડશે?

આના પર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે– આ નિર્ણય માત્ર પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહની સત્તાવાર ભૂમિકા (Official Position) સુધી મર્યાદિત છે. અન્ય આરોપીઓ સાથે જોડાયેલા મામલાઓ પર તેનો કોઈ પ્રભાવ નહીં પડે.

આ નિર્ણયની સાથે જ ડિસેમ્બર 2024માં અવસાન પામેલા પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહને કોલસા બ્લોક ફાળવણી કેસમાં મોટી કાનૂની રાહત મળી ગઈ છે અને તેમના વિરુદ્ધની ફોજદારી કાર્યવાહી સમાપ્ત થઈ ગઈ છે.

2004 થી 2014 સુધી ભારતના વડાપ્રધાન હતા મનમોહન સિંહ

ડૉ. મનમોહન સિંહ વર્ષ 2004 થી 2014 સુધી ભારતના વડાપ્રધાન રહ્યા હતા. કોલસા બ્લોક ફાળવણી સાથે જોડાયેલા મામલાઓમાં તેમના કાર્યકાળ દરમિયાન લેવાયેલા નિર્ણયોને લઈને અનેક તપાસ થઈ હતી. ડૉક્ટર મનમોહન સિંહે સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા સમનને સુપ્રીમ કોર્ટમાં 2015માં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે પહેલી જ સુનાવણીમાં મનમોહન સિંહને રાહત આપતા રોક લગાવી દીધી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં આ મામલો લાંબા સમય સુધી લંબિત રહ્યો અને સમનની વૈધતા પર અંતિમ ફેસલો આવી શક્યો નહીં. ડિસેમ્બર 2024માં મનમોહન સિંહનું અવસાન થયું હતું.