ઉનાળાની આકરી ગરમીમાં તાપમાનનો પારો ખૂબ ઊંચા અંક પર પહોંચી જાય છે અને તેના કારણે ખાવા-પીવાની વસ્તુઓ ખૂબ જ ઝડપથી ખરાબ થઈ જાય છે. ગરમ અને ભેજ વાળી મોસમમાં બેક્ટેરિયા પણ ખૂબ જ ઝડપથી વધે છે અને આ કારણે જ ઉનાળામાં ઇન્ફેકશનના કેસોમાં જબરો ઉછાળો જોવા મળતો હોય છે.
ઉનાળાની સીઝનમાં જે લોકો વાસી, ઠંડો ખોરાક અથવા તો સરખી રીતે ન રાખવામાં આવેલા ખોરાક લે છે, તેમને ઊલટી, ઝાડા અને પેટમાં દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે. નાના બાળકો, વૃદ્ધ અને શારીરિક રીતે નબળા લોકો માટે આ એક મોટી સમસ્યા બની શકે છે. ઘણા ઘરોમાં દિવસે બનાવેલો ખોરાક રાતે ખાવામાં આવે છે. જો કે આ કઇ ખોટું નથી પરંતુ દિવસે વધેલા ખોરાકનો રાતે કઇ રીતે યપયોગ કરવો તે જાણી લેવું ખૂબ જરૂરી છે. અહી આપણે વાસી ભોજન લેવાથી થતાં નુકસાન અને તેના ઉપયોગની સાચી રીત વિશે વાત કરીશું.

દેખાતો સારો ખોરાક પણ હોઈ શકે છે દૂષિત
ઘણા ઘરોમાં બપોરનું વધેલું ભોજન રાત્રે કે સવારે ફ્રિજમાં રાખ્યા વિના જ ખાવાની કુટેવ હોય છે. નિષ્ણાતોના મતે, ગરમીમાં મિલ્ક પ્રોડક્ટ્સ, રાંધેલા ભાત, સલાડ અને ચિકન કે ફિશ જેવા ખાદ્યપદાર્થો લાંબો સમય બહાર રાખવાથી તેમાં સાલ્મોનેલા, ઈ. કોલાઈ અને સ્ટેફિલોકોકસ જેવા હાનિકારક બેક્ટેરિયા પેદા થાય છે. ઘણીવાર આ ખોરાક જોવામાં કે સુંઘવામાં સામાન્ય લાગે છે, પરંતુ તે અંદરથી બગડી ગયો હોય છે. માત્ર ખોરાકને ફરી ગરમ કરવાથી પણ આવા બેક્ટેરિયાના ઝેરી તત્વો નાશ પામતા નથી, જેના કારણે લોકો અજાણતા જ બીમારીનો ભોગ બને છે.