Thu Jun 18 2026

Logo

નીતા અંબાણીએ ખેલાડીઓને કહ્યું, ‘મુંબઈ ઇન્ડિયન્સનો 14 વર્ષનો વનવાસ પૂરો થયો, અભિનંદન...'

2026-03-30 16:30:44
Author: Ajay Motiwala
Article Image

મુંબઈ: મુંબઇ ઇન્ડિયન્સે (MI) રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમને સીઝનની પોતાની પ્રથમ મૅચમાં છ વિકેટે પરાજિત કરી એ સાથે મુંબઈએ 14 વર્ષથી ચાલી આવતી એક નિરાશાજનક પરંપરા તોડી હતી. મુંબઈ આઇપીએલ-સીઝનની પોતાની પ્રથમ મૅચ જીત્યું હોય એવું છેક 2012ની સાલમાં (14 વર્ષ પહેલાં) બન્યું હતું.

નીતા અંબાણીએ ખેલાડીઓને શું કહ્યું?

મુંબઈની ટીમનાં માલિક નીતા અંબાણી (NITA AMBANI)એ વાનખેડેની મૅચ પછી ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, ‘આપણે 2012ની સાલ પછી પહેલી વાર (14 વર્ષે) સીઝનની આપણી પ્રથમ મૅચ જીત્યા છીએ. છેલ્લે 2012માં જીત્યા હતા ત્યારે રોહિત શર્મા કેપ્ટન નહોતો, હાર્દિક પંડ્યાએ ડેબ્યૂ પણ નહોતું કર્યું, બુમરાહ પણ ટીમમાં નહોતો અને હરભજન સિંહ ત્યારે મુંબઈનો કેપ્ટન હતો.'

સ્પીચમાં હિન્દુ ધર્મનો ઉલ્લેખ કર્યો

નીતા અંબાણીએ મુંબઈ ઈન્ડિયન્સની આ જીતને અંગત સિદ્ધિ તરીકે ઓળખાવીને ખેલાડીઓને વધુમાં કહ્યું હતું કે, ‘હિન્દુ ધર્મમાં કહેવાય છેને કે રામનો 14 વર્ષનો વનવાસ પૂરો થયો હતો. એ રીતે આ મુંબઈ ઇન્ડિયન્સનો 14 વર્ષનો વનવાસ હવે પૂરો થયો. ખૂબ ખૂબ અભિનંદન.'

નીતા અંબાણીની આ ટૂંકી સ્પીચ સાંભળ્યા બાદ તમામ ખેલાડીઓએ તાળી પાડીને તેમનું અભિવાદન કર્યું હતું.

શાર્દુલ મૅન ઑફ ધ મૅચ

રવિવારે કોલકાતાએ બૅટિંગ મળ્યા પછી કેપ્ટન અજિંકય રહાણેના 57 રન, ફિન ઍલનના 37 રન, અંગક્રિશ રઘુવંશીના 51 રન અને રિન્કુ સિંહના અણનમ 33 રનની મદદથી ચાર વિકેટે 220 રન કર્યા હતા. મુંબઈના પેસ બોલર શાર્દુલ ઠાકુરે ત્રણ વિકેટ લીધી હતી. મુંબઈ માટે જીતવું થોડું મુશ્કેલ હતું, પરંતુ રાયન રિકલ્ટનના 81 રન, રોહિત શર્માના 78 રન, ઇમ્પેક્ટ પ્લેયર સૂર્યકુમારના 16 રન, તિલક વર્માના 20 રન અને હાર્દિક પંડ્યાના અણનમ 18 રનની મદદથી મુંબઈએ 19.1 ઓવરમાં ચાર વિકેટે 224 રન કરીને રોમાંચક વિજય મેળવ્યો હતો. રોહિત અને રિકલ્ટન વચ્ચે 148 રનની વિક્રમજનક ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. શાર્દુલ ઠાકુરને કોલકાતાની પહેલી ત્રણ વિકેટ વહેલી લેવા બદલ મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.