Sun May 31 2026

Logo

ભારે વરસાદને કારણે કેદારનાથ યાત્રા હંગામી ધોરણે સ્થગિતઃ ટ્રાફિક જામને કારણે શ્રદ્ધાળુઓ ત્રાહિમામ

2026-05-31 14:45:00
Author: Vimal Prajapati
Article Image

રૂદ્રપ્રયાગ: ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનનો મિજાજ અચાનક બદલાઈ ગયો છે. પહાડી વિસ્તારોમાં સતત થઈ રહેલી મુશળધાર વરસાદ અને ઠેર-ઠેર ભૂસ્ખલનની ઘટનાઓને કારણે ચારધામ યાત્રાએ આવેલા શ્રદ્ધાળુઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં રૂદ્રપ્રયાગના સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસે શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેદારનાથ યાત્રાને અસ્થાયી રૂપે રોકી દેવાનો મોટો નિર્ણય લીધો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

રૂદ્રપ્રયાગ પોલીસની એડવાઇઝરી અને હેલ્પલાઇન નંબર

સ્થાનિક પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સપર સત્તાવાર એડવાઇઝરી જાહેર કરીને જણાવ્યું છે કે, રૂદ્રપ્રયાગ જિલ્લામાં ભારે વરસાદના ઓરેન્જ એલર્ટને પગલે ભક્તોની સુરક્ષા અર્થે કેદારનાથ યાત્રા હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે’. વરસાદના કારણે મુસાફરો અલગ-અલગ સ્થળોએ અટવાયા છે. પ્રશાસને શ્રદ્ધાળુઓની મદદ માટે ખાસ હેલ્પલાઇન નંબરો પણ જાહેર કર્યા છે. શ્રદ્ધાળઓ માટે મુખ્ય હેલ્પલાઇનમાં 8958757335 અને 8218326386 અને ઇમરજન્સી સેવા માટે 'ડાયલ ૧૧૨' પર પણ સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું છે. 

 

બદ્રીનાથ નેશનલ હાઇવે પર ટ્રાફિક ઠપ

જોશીમઠ નજીક બદ્રીનાથ નેશનલ હાઇવે પર વાહનોની લાંબી કતારોને કારણે ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. ટ્રાફિકને હળવો કરવા માટે પ્રશાસન દ્વારા દર 30 મિનિટે એકતરફી વાહનોને પસાર કરવા માટે ઇમરજન્સી ટોકન-બેઝ્ડ ગેટ સિસ્ટમ સક્રિય કરવામાં આવી છે. હાલમાં દરરોજ અંદાજે 30,000થી 35,000 શ્રદ્ધાળુઓ બદ્રીનાથ ધામ અને 5,000થી 10,000 ભક્તો હેમકુંડ સાહિબની યાત્રા કરી રહ્યા છે, જેના કારણે હાઇવે પર દબાણ વધી ગયું છે.

 

આશરે 10 કિલોમીટરનો રોડ અત્યંત બિસ્માર

વધારે વિગતે વાત કરવામાં આવે તો, જોશીમઠ-મારવાડી-વિષ્ણુપ્રયાગ માર્ગ પર આશરે 10 કિલોમીટરનો રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે. થોડા વર્ષો પહેલા જોશીમઠ વિસ્તારમાં થયેલા જમીન ધંસી જવાના કારણે રસ્તાના માળખાને મોટું નુકસાન થયું હતું. સાંકડા પહાડી રસ્તાઓ અને ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસે જોશીમઠના નરસિંહ મંદિર પાસે એક સુનિયોજિત ગેટ સિસ્ટમ બનાવી છે. આ વ્યવસ્થા હેઠળ, શ્રદ્ધાળુઓ ટ્રાફિકમાં પોતાની વારો આવવાની રાહ જોતી વખતે પવિત્ર નરસિંહ મંદિરના દર્શન પણ સરળતાથી કરી શકે છે. વહીવટી તંત્રએ હવામાન સાફ ન થાય ત્યાં સુધી લોકોને પ્રશાસનને સહયોગ આપવા અપીલ કરી છે.