Sat Sep 05 2026

Logo

શ્રીલંકાના ખેલાડીઓનું નવું નાટક, હવે અમ્પાયર પર ગુસ્સે થયા

Colombo   2026-08-25 12:21:00
Author: Ajay Motiwala
શ્રીલંકાના ખેલાડીઓનું નવું નાટક, હવે અમ્પાયર પર ગુસ્સે થયા

કોલંબો: શ્રીલંકાના ક્રિકેટરો હવે તો મૅચ કે સિરીઝ હારવા આવે ત્યારે વિવાદ શરૂ કરી દેતા હોય એવું હવે છાશવારે જોવા મળે છે જેનો એક બનાવ રવિવારે યશસ્વી જયસ્વાલ સાથે બની ગયો અને બીજી ઘટના સોમવારે અમ્પાયર (Umpire)ના નિર્ણયને પગલે બની હતી.

શ્રીલંકાના ફાસ્ટ બોલર અસિથા ફર્નાન્ડોએ યશસ્વી જયસ્વાલને આઉટ કર્યા પછી તેને ઉશ્કેર્યો જેને પગલે યશસ્વી દલીલ સાથે તેની લગોલગ આવી ગયો એ ઘટનામાં બંનેને 25-25 ટકા મૅચ ફીનો દંડ થયો ત્યાર પછીની બીજી ઘટનામાં નાઈટ વૉચમૅન પ્રભાત જયસૂર્યાના કિસ્સામાં બની છે.

ખાસ કરીને ભારતના ભૂતપૂર્વ બૅટ્સમૅન સંજય માંજરેકર (Manjrekar)એ શ્રીલંકન ખેલાડીઓના વર્તનની ટીકા કરી છે.

સોમવારના બીજા દિવસે ભારતે 9/503ના સ્કોર પર દાવ ડિકલેર કર્યો ત્યાર બાદ એક જ રનના સ્કોર પર શ્રીલંકાએ પહેલી વિકેટ ગુમાવી ત્યાર પછી બીજી વિકેટ પહેલાં વિવાદ શરૂ થઈ ગયો હતો.
 

શ્રીલંકાએ સોમવારના બીજા દિવસના અંત સુધીમાં બે વિકેટે આઠ રન કર્યા હતા. બન્યું એવું કે શ્રીલંકાના બંને બૅટ્સમેનની બૅડ લાઈટનું કારણ આપીને રમત ચાલુ રાખવાની ઈચ્છા નહોતી. માંજરેકરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે ‘સૂર્યનો પ્રકાશ રમવા માટે પૂરતો હતો અને બૉલ પણ બરાબર દેખાતો હતો એટલે અમ્પાયરે રમત ચાલુ રાખી હતી અને તેમની સાથે દલીલ કરવામાં જ શ્રીલંકાના બન્ને બૅટ્સમેનોએ રમવા પરથી એકાગ્રતા ગુમાવી હતી અને થોડી જ વારમાં સ્પિનર માનવ સુથારે પ્રભાત જયસૂર્યાની એલબીડબલ્યૂમાં વિકેટ લીધી હતી. સામાન્ય રીતે બૅડ લાઈટના કિસ્સામાં ખુદ અમ્પાયર જ બૅટ્સમેનોને વિકલ્પ આપતા હોય છે કે રમત ચાલુ રાખવી કે નથી રાખવી? કોલંબો ટેસ્ટના કિસ્સામાં પ્રકાશ નબળો નહોતો એટલે અમ્પાયરે રમત ચાલુ રાખી હતી.'
 

બેમાંથી એક અમ્પાયર અહેસાન રઝા પાકિસ્તાનના અને બીજા અમ્પાયર સરફુદૌલા બાંગ્લાદેશના હતા. માંજરકરે મુલાકાતમાં કહ્યું છે કે ‘શ્રીલંકાના બૅટ્સમેનોએ પોતે જ રમત પરથી ફૉકસ ગુમાવ્યું હતું અને એવામાં નાઈટ વૉચમૅન પ્રભાત જયસૂર્યા વિકેટ ગુમાવી બેઠો હતો. સ્પિનર માનવ સુથાર તેના બેસ્ટ ફોર્મમાં છે જેણે જયસૂર્યાને જાળમાં ફસાવીને આઉટ કરી દીધો હતો'

પ્રભાત જયસૂર્યા આઉટ થયા બાદ ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો ત્યારે તેણે ગ્લવ્ઝ કાઢીને ફેંક્યા હતા. કૅમેરાના ફૂટેજમાં જોવા મળ્યું હતું કે શ્રીલંકાના ખેલાડીઓ અમ્પાયરના નિર્ણય બદલ ખૂબ ગુસ્સામાં હતા. જોકે બની શકે કે પ્રથમ ટેસ્ટ હારી જનાર શ્રીલંકાના ખેલાડીઓ હવે બીજી ટેસ્ટ બચાવવા અને 0-2ના વાઈટ વૉશથી બચવા મરણિયા થઈ રહ્યા છે.