Sat Jun 27 2026

Logo

રવિવારે ભારતે વાઇટવૉશથી બચવાનું છેઃ વૈભવને હવે ડેબ્યૂ કરવા મળશે કે નહીં?

Belfast   2026-06-27 22:27:35
Author: Ajay Motiwala
Article Image

BCCI


બેલફાસ્ટઃ વર્લ્ડ ચૅમ્પિયન ભારત અને આયરલૅન્ડ વચ્ચે રવિવારે (સાંજે 6.00 વાગ્યાથી) ટી-20 સિરીઝની બીજી અને અંતિમ મૅચ અહીં રમાશે. ત્રણ મહિના પહેલાં ટી-20 વર્લ્ડ કપ જીત્યા પછી છેક શુક્રવારે ભારતની પ્રથમ ટી-20 મૅચ રમાઈ હતી જેમાં આયરલૅન્ડ (Ireland) સામે 34 રનથી પરાજય થયો ત્યાર બાદ હવે રવિવારે પણ હારી જતાં 0-2ના વાઇટવૉશની નામોશી ન જોવી પડે એ માટે શ્રેયસ ઐયરની ટીમ કોઈ પણ ભોગે જીતીને શ્રેણી 1-1ની બરાબરીમાં લાવવા કમર કસીને રમશે. ભારત (INDIA) આ શ્રેણી જીતી તો નહીં જ શકે.

શ્રેયસ ઐયર અઢી વર્ષે (જેમાં ભારતની 63 ટી-20 મૅચ રમાઈ ગઈ ત્યાર બાદ) ફરી ભારત વતી રમી રહ્યો છે. તે 963 દિવસ બાદ ટી-20 ઇન્ટરનૅશનલ રમ્યો અને એમાં તેને કૅપ્ટન્સીની નવી જવાબદારી મળી અને પહેલી જ મૅચમાં (શુક્રવારે) તેણે નબળા બૅટિંગ પર્ફોર્મન્સ (ત્રણ રન) સાથે પરાજય જોવો પડ્યો હતો.

15 વર્ષનો સ્ટાર અટ્રૅક્શન વૈભવ સૂર્યવંશી ખૂબ ડિમાન્ડમાંછે અને તેને હવે રવિવારની બીજી મૅચમાં ડેબ્યૂ કરવાનો મોકો મળશે કે કેમ એ સવાલ છે, પણ જો પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરાશે તો વૈભવને ઓપનિંગમાં સમાવવા કદાચ ટૉપ-ઑર્ડરમાંથી અમુક ખેલાડીઓને નીચલા ક્રમે ઉતારવામાં આવશે.

શુક્રવારે આયરલૅન્ડ સામે ભારત પહેલી વખત તો હાર્યું, પણ હવે પહેલી વાર સિરીઝ ન હારી બેસે એનું ખાસ ધ્યાન રાખશે. જો ટીમ ઇન્ડિયા ફરી હારશે તો વર્લ્ડ નંબર-વન ભારતનો વાઇટવૉશ કરાવવાની ઐતિહાસિક સિદ્ધિ આયરલૅન્ડની ક્રિકેટમાં સુવર્ણ અક્ષરે લખાશે.