Tue Jul 28 2026

Logo

બિહાર-આસામમાં પ્રદર્શનકારીઓને છોડી મૂકાશે, કેસ પણ પાછા ખેંચાશે; સરકાર સાથે વાતચીત બાદ કૉકરોચ પાર્ટીએ આપ્યું અપડેટ

2026-07-28 09:15:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: સીજેપી એટલે કે કૉકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનકારીઓ અંગે બિહાર અને આસામમાંથી મોટા સમાચાર આવ્યા છે. આસામ અને બિહારે નીટ (NEET) પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલા કેસો પાછા ખેંચવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય સીજેપી એટલે કે કોકરોચ જનતા પાર્ટીની ચેતવણી બાદ લેવામાં આવ્યો છે. સીજેપી દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ સામેની કાનૂની કાર્યવાહી નહીં અટકાવવામાં આવે તો તેઓ પોતાનું આંદોલન ફરી શરૂ કરશે.

આસામ સરકારે સોમવારે જાહેરાત કરી કે તે નીટ પેપર લીક વિરુદ્ધ થયેલા વિરોધ-પ્રદર્શનોના સંદર્ભમાં રાજ્યમાં નોંધાયેલા તમામ પાંચ કેસ પાછા ખેંચશે. 26 જુલાઈએ સાંજે 6 વાગ્યા સુધીમાં આ કેસોમાં ઓછામાં ઓછા 13 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

આસામના રાજ્યના ગૃહ વિભાગે જણાવ્યું કે વિરોધ-પ્રદર્શનોમાં સામેલ લોકો સામે કોઈ પ્રતિકૂળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે નહીં. કાનૂન મુજબ કેસ પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. વિભાગે એમ પણ કહ્યું કે ધરપકડની સમીક્ષા કરવામાં આવશે અને કસ્ટડીમાં લેવાયેલા લોકોને જરૂરી પ્રક્રિયાઓ બાદ મુક્ત કરવામાં આવશે.

બિહારે પણ કેસો પાછા ખેંચ્યા, મુક્ત કરવાનો આદેશ

આસામ પહેલાં બિહારે પણ આવો જ નિર્ણય લીધો છે. બિહાર સરકારે પણ નીટ પેપર લીકના પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલા કેસો પાછા ખેંચવાની જાહેરાત કરી. સાથે જ પ્રદર્શનો દરમિયાન ધરપકડ કરાયેલા લોકોને મુક્ત કરવાનો આદેશ આપ્યો.

બિહાર રાજ્યના ગૃહ વિભાગે જણાવ્યું કે 26 જુલાઈએ સાંજે 6 વાગ્યા પહેલાં વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેનારા વ્યક્તિઓ સામે કોઈ દંડાત્મક કે બદલાની કાર્યવાહી કરવામાં આવશે નહીં. વિભાગે કહ્યું કે પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલી એફઆઈઆર (FIR), ફોજદારી ફરિયાદો અને કારણ બતાવો નોટિસ પાછા ખેંચી લેવામાં આવશે.

સીજેપીએ નવા આંદોલનની ચેતવણી આપી

જોકે, સીજેપીએ માંગ કરી હતી કે નીટ પેપર લીક આંદોલનમાં સામેલ પ્રદર્શનકારીઓ અને આયોજકો સામે નોંધાયેલી તમામ એફઆઈઆર પાછી ખેંચવામાં આવે. સીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકાએ જણાવ્યું કે 25 જુલાઈએ સરકાર સાથે થયેલી વાતચીતમાં આ મુદ્દા પર ચર્ચા થઈ હતી.

રાંકાએ જણાવ્યું કે કાનૂની સલાહ પછી સરકારે મંગળવાર સુધીમાં લેખિત આશ્વાસન આપવાનું હતું. તેમણે ચેતવણી આપી કે જો સરકાર પોતાનું વચન પૂરું નહીં કરે અને ધરપકડ કરાયેલા પ્રદર્શનકારીઓને મુક્ત નહીં કરવામાં આવે, તો સીજેપી ફરીથી આંદોલન શરૂ કરશે. સીજેપીએ એવી પણ માંગ કરી કે ભવિષ્યમાં આ આંદોલન સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ, આયોજકો અને સમર્થકો સામે કોઈ નવો કેસ નોંધવામાં ન આવે.