Tue Sep 01 2026

Logo

ઝિમ્બાબ્વેમાં મોટી હોનારત; 95 મુસાફરો ભરેલી બોટ કરીબા તળાવમાં ડૂબી, 15 લોકોના મોત....

Kariba   2026-08-12 08:43:00
Author: Vimal Prajapati
ઝિમ્બાબ્વેમાં મોટી હોનારત; 95 મુસાફરો ભરેલી બોટ કરીબા તળાવમાં ડૂબી, 15 લોકોના મોત....

કરીબા, હરારેઃ ઝિમ્બાબ્વેમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અહીં કરીબા તળાવમાં લોકોને લઈને જતી એક બોટ અચાનક પલટી ગઈ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાના અનેક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. આ દુર્ઘટનામાં કુલ 15 લોકોના મોત થયાં છે, જ્યારે 20 થી વધારે લોકો હજી પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. આ બોટમાં કુલ 95 લોકો સવાર હતાં. લાપતા લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. 

બાળકો અને મહિલાઓ સહિત 15 લોકોના મોત

વિગતે વાત કરવામાં આવે તો, કરીબા તળાવમાં બોટિંગ દરમિયાન આ બોટ પલટી ગઈ હતી. જેમાં 95 લોકો સવાર હતાં. આ દુર્ઘટનામાં બાળકો અને મહિલાઓ સહિત 15 લોકોના મોત થયાં છે. મૃતકોના મૃતદેહને બહાર કાઢી લેવામાં આવ્યાં છે. જ્યારે લાપતા લોકોને શોધખોળ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં આ દુર્ઘટનાના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. 

ભયાનક મોજાના કારણે આ બોટ પલટી ગઈ

આ મામલે પોલીસે જણાવ્યું કે, ઝિમ્બાબ્વેના ઉત્તરી શહેર કરીબાથી દ્વીપ સુધી જવા માટે બોટ દ્વારા મુસાફરી કરવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ માછીમારી માટે પણ અહીં અવર જવર રહેતી હોય છે. અત્યારે ભયાનક મોજાના કારણે આ બોટ પલટી ગઈ હતી. જેમાં પાંચ ક્રૂ મેમ્બર અને 95 મુસાફરો સવાર હતાં. હવામાન ખરાબ હોવા છતાં પણ આ બોટ મુસાફરોને લઈને નીકળી હતી. તળાવની વચ્ચે પહોંચી ત્યારે મોજાના કારણે પલટી ગઈ હતી. 

આ દરમિયાન આસપાસ બોટિંગ કરી રહેલા લોકો સત્વરે અહીં પહોચ્યાં અને બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. આ સાથે પોલીસને પણ જાણ કરી દેવામાં આવી હતી. અત્યારે હેલિકોપ્ટર અને સેના દ્વારા બચાવકાર્ય કરવામાં આવલી રહ્યું છે. 60 લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યાં છે. બાકીના લોકોની પણ શોધખોળ કરવામાં આવી રહી છે. આ ઘટનાના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.