આપણામાંથી અનેક લોકો સાથે એવું થયું હશે કે ઘરે કે ઓફિસમાં જેવા લિફ્ટમાં એન્ટર થઈએ એટલે મોબાઈલ ફોનનું નેટવર્ક ગાયબ થઈ જાય છે. પરંતુ શું તમને ખબર છે કે આખરે આવું કેમ થાય છે? આ પાછળ કયું પરિબળ કે કારણ જવાબદાર છે? હવે કેટલાક લોકો કહેશે કે લિફ્ટ એ બંધ હોય છે એટલે એવું થાય છે. પરંતુ હકીકત કંઈક અલગ જ છે. આજે આપણે આ સ્ટોરીમાં આ વિશે વિસ્તારથી વાત કરીશું...
લિફ્ટમાં મોબાઈલ નેટવર્કની રેન્જ ન આવવા પાછળનું મુખ્ય કારણ કોઈ જાદુ કે લિફ્ટનું બંધ હોવું નથી, પરંતુ ભૌતિકશાસ્ત્રનો એક નિયમ જવાબદાર હોય છે. આજે આપણે આ સ્ટોરીમાં લિફ્ટમાંથી નેટવર્ક ગાયબ થવા પાછળના વૈજ્ઞાનિક કારણ વિશે વિસ્તારથી ચર્ચા કરીશું.
વાત કરીએ લિફ્ટમાં નેટવર્ક કેમ ગાયબ થાય છે એની તો સામાન્યપણે લિફ્ટની બોડી સ્ટીલ કે પછી એલ્યુમિનિયમ જેવી ધાતુઓઓથી તૈયાર કરવામાં આવે છે. જ્યારે લિફ્ટના દરવાજા બંધ થાય છે, ત્યારે તે એક બંધ 'ધાતુના પિંજરા'ની જેમ કામ કરે છે. વૈજ્ઞાનિક ભાષામાં આને 'ફૅરેડે કેજ' કહેવામાં આવે છે.
હવે એ વાત તો આપણે સૌ જાણીએ છીએ કે મોબાઈલ ફોન રેડિયો તરંગો દ્વારા ટાવર સાથે જોડાય છે. જ્યારે આ તરંગો લિફ્ટની ધાતુની સપાટી સાથે અથડાય છે, ત્યારે તે અંદર પ્રવેશવાને બદલે પરાવર્તિત થઈ જાય છે કે પછી ધાતુ દ્વારા શોષાઈ જાય છે. લિફ્ટ સામાન્ય રીતે બિલ્ડિંગની મધ્યમાં હોય છે, જ્યાં પહેલેથી જ સિગ્નલ નબળા હોય છે. લિફ્ટ જ્યારે ઉપર-નીચે જાય છે ત્યારે 'ટનલ ઇફેક્ટ'ને કારણે સિગ્નલ વધારે અવરોધાય છે અને મોબાઈલ નેટવર્ક ગાયબ થઈ જાય છે.
હવે જો તમને લિફ્ટમાં પણ મોબાઈલ નેટવર્કની રેન્જ જોઈતી હોય, તો તમારે આ માટે લિફ્ટમાં 'સિગ્નલ બૂસ્ટર' અથવા 'મોબાઈલ સિગ્નલ રિપીટર' લગાવવા પડે છે, જે ઘણીવાર મોટી હોસ્પિટલો કે મોલમાં જોવા મળે છે.
છે ને એકદમ અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની અને અનોખી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...