ગરમી વધતાની સાથે જ ઘરો અને ઓફિસોમાં એસીનો વપરાશ વધી જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મોટાભાગના એસીમાં તાપમાન ઘટાડવાની મર્યાદા 16 ડિગ્રી અને વધારવાની મર્યાદા 30 ડિગ્રી જ કેમ હોય છે? ઘણા લોકોને લાગે છે કે આ માત્ર મેન્યુફેક્ચરિંગ ડિઝાઇન છે, પરંતુ હકીકતમાં તેની પાછળ મશીનની કાર્યક્ષમતા, સુરક્ષા અને માનવ સ્વાસ્થ્ય સાથે જોડાયેલા મહત્વના ટેકનિકલ કારણો જવાબદાર છે.
એસીનું મુખ્ય કાર્ય રૂમની ગરમ હવાને શોષી તેને રેફ્રિજરેન્ટ દ્વારા ઠંડી કરવાનું છે. જો એસીને 16 ડિગ્રીથી નીચે ચલાવવાની છૂટ આપવામાં આવે, તો તેની કૂલિંગ કોઈલ્સ પર બરફ જામવા લાગે છે. આ બરફ મશીનની કામ કરવાની ક્ષમતા ઘટાડે છે અને લાંબા ગાળે કમ્પ્રેસર પર અતિશય દબાણ લાવે છે, જેનાથી એસી જલ્દી ખરાબ થવાનું જોખમ વધી જાય છે. આ મશીનરીને લાંબો સમય સુરક્ષિત રાખવા માટે જ કંપનીઓ એક લિમિટ નક્કી કરે છે.
જેટલું ઓછું તાપમાન તમે સેટ કરશો, એસીના કમ્પ્રેસરને એટલી જ વધુ મહેનત કરવી પડશે. જો 16 ડિગ્રીથી નીચેનો વિકલ્પ આપવામાં આવે તો લોકો વધુ ઠંડકની લાલચમાં એસી ચલાવશે, જેનાથી વીજળીનું બિલ બમણું થઈ શકે છે. નિષ્ણાતોના મતે, મનુષ્ય માટે 24 થી 26 ડિગ્રી તાપમાન સૌથી આરામદાયક અને સ્વાસ્થ્યપ્રદ છે. 30 ડિગ્રીથી વધુ તાપમાન રાખવાનો કોઈ અર્થ નથી, કારણ કે તે રૂમના સામાન્ય વાતાવરણ જેવું જ બની જાય છે.
ખૂબ ઓછું તાપમાન સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. સતત 16 ડિગ્રીથી નીચેના તાપમાનમાં રહેવાથી સાંધાના દુખાવા, શરદી-ઉધરસ અને ચામડી સુકી પડવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. એસીની આ 16 થી 30 ડિગ્રીની રેન્જ એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે જે ભારતીય વાતાવરણ અને માનવ શરીરની સહનશક્તિ બંને સાથે સુસંગત રહે. આ મર્યાદા એસીની લાઇફ વધારે છે અને ગ્રાહકોના ખિસ્સા પરનો બોજ પણ ઓછો કરે છે.