ભાવનગરઃ ઘોઘાના ખરકડી ગામમાં ઝેરી દારૂ પીવાના કારણે ઉપેન્દ્રસિંહ ગોહિલ સહિત બે લોકોના મોત થયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ સાથે ઘનશ્યામસિંહ જાડેજા સદવિચારમાં અને વિશ્વરાજસિંહ વનરાજસિંહ ગોહિલ સહિત 6 લોકોની હાલત ખરાબ હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે 6માંથી 2 દર્દીઓની હાલત વધારે ગંભીર છે, એકની હાલત અત્યંત ખરાબ થઈ હોવાથી તેને સારવાર માટે સુરત લઈ જવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ અને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
દારૂમાં પોઈઝન હોવાની આશંકા
આ ઘટના માટે મૃતકના ભાઈએ કહ્યું કે, જે દારૂથી પાર્ટી કરવામાં આવી તે દારૂમાં પોઈઝન હોવાની શક્યતા છે. કારણ કે, દારૂ પીધા બાદ મિત્રોને ઉલટીઓ થવા લાગી હતી અને સ્થિતિ વધારે ગંભીર બની ગઈ હતી. અત્યારે મૃત્યુના ચોક્કસ કારણને જાણવા માટે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. આ રિપોર્ટની અત્યારે પોલીસ રાહ જોઈ રહી છે. તેની સાથે પોલીસે બુટલેગરો સામે પણ કાર્યવાહી શરૂ કરી દીધી છે.
આ દારૂ મધ્યપ્રદેશથી આવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું
પોલીસની તપાસમાં થયેલા ખુલાસા પ્રમાણે આ લોકોએ મોટી રાત્રે દારૂ પાર્ટી કરી હતી. આ દારૂ મધ્યપ્રદેશના ઉજ્જૈનતી આવેલો હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. પોલીસે મધ્યપ્રદેશમાંથી આવેલા 28 પેટી દારૂમાંથી 15 પેટી દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે બાકીનો દારૂ શોધવા માટે પણ ભાવનગર પોલીસે ચક્રો ગતિમાન કરી નાખ્યાં છે.
ભાવનગરમાં ઝેરી દારૂ પીવાથી 2 લોકોના મોત નિપજ્યા છે અને 6 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનથી દારૂની 28 પેટીઓ લાવવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને નાયબ મુખ્યમંત્રીએ મોડી રાત્રે ઉચ્ચ અધિકારીઓ સાથે ઇમરજન્સી બેઠક યોજી સખત કાર્યવાહીના… pic.twitter.com/5EJU4Hnm7X
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) August 19, 2026
કાર્યવાહીની વાત કરવામાં આવે તો, ધોલેરાના બુટલેગર શૈલેષ મેરે ભાવનગરના જયદીપ મકવાણા પાસેથી 2 પેટી દારૂ ખરીદ્યો હતો. આ મામલે ડુપ્લિકેટ 'રોયલ સ્ટેગ' દારૂ વેચનારા 4 બુટલેગરોને ડિટેઈન કરી લેવામાં આવ્યાં અને કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે આ દારૂનું છૂટક વેચાણ કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે.