ગાંધીનગરઃ દર્દી હિતમાં બેદરકારી દાખવનાર કર્મચારી સામે સરકારે કડક વલણ અપનાવ્યું છે. આ મામલે : આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયા દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં દર્દીઓને દવા ન આપવાના મામલે વિસનગરના જુનીયર ફાર્માસીસ્ટ પ્રશાંત શ્રીમાળીની કચ્છ ખાતે બદલી અને ખાતાકીય તપાસ કરવાની સૂચના આપી છે.
આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયાની સૂચનાથી થયેલી તપાસમાં ગાંધીનગર ખાતે દવાનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું છે. જેથી આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓને સમયસર અને ગુણવત્તાસભર આરોગ્ય સેવા ઉપલબ્ધ થાય તે માટે સતત સંવેદનશીલ અભિગમ અપનાવવામાં આવ્યો છે.
કાર્યવાહીની વાત કરવામાં આવે તો, પ્રશાંત એ. શ્રીમાળી (જુનીયર ફાર્માસીસ્ટ, વર્ગ-3, જનરલ હોસ્પિટલ, વિસનગર)ની જાહેર હિતમાં બદલી કરી દેવામાં આવી છે. પ્રશાંત એ શ્રીમાળીને હવે કચ્છ જિલ્લામાં આવેલી રાપર સરકારી હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યાં છે. બદલીના આદેશ પ્રમાણે વાત કરવામાં આવે તો, આ બદલી જાહેર હીતમાં થઈ હોવાના કારણે પ્રશાંત એ શ્રીમાળીને સરકારના વર્તમાન નિયમ અનુસાર વાટાચાલનો સમય અને મુસાફરી ભથ્થું મળશે.
ખાતાકીય તપાસના પણ આદેશ આપવામાં આવ્યાં
પ્રશાંત એ. શ્રીમાળી બદલીની સાથે જ તેમની સામે નિયમોનુસાર ખાતાકીય તપાસ (Departmental Inquiry) શરૂ કરવાના આદેશ પણ આપી દેવાયા છે. જોકે, સત્તાવાર બદલીના આદેશ પ્રમાણે આ વહીવટી પ્રક્રિયા જાહેર હિતમાં થઈ હોવાથી સરકારના વર્તમાન નિયમો અનુસાર તેમને વાટાચાલનો સમય (Preparation Time) અને મુસાફરી ભથ્થું મળવાપાત્ર રહે તેવો પણ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.