Thu Jan 29 2026

Logo

White Logo

મગજ મંથનઃ પરંપરા સમાજમાં નાખે મૂળિયા, જ્યારે પરિવર્તન આપે પાંખ...

23 hours ago
Author: વિઠ્ઠલ વઘાસિયા
Video

વિઠ્ઠલ વઘાસિયા

માનવ સમાજના વિકાસનો ઇતિહાસ જોવામાં આવે તો બે શક્તિ હંમેશાં એક સાથે ચાલતી રહી છે-પરંપરા અને પરિવર્તન. પરંપરા સમાજને મૂળ આપે છે, જયારે પરિવર્તન તેને પાંખ આપે છે. પરંપરા વગર સમાજ પોતાની ઓળખ ગુમાવી દે, અને પરિવર્તન વગર સમાજ સ્થગિત બની જાય. આ બંને તત્ત્વના યોગ્ય સમન્વય દ્વારા જ કોઈ પણ સંસ્કૃતિ જીવંત, સજીવ અને સમૃદ્ધ રહે છે. 

* પરંપરાની વ્યાખ્યા :

પરંપરા એટલે પેઢી દર પેઢી ચાલતી આવતી માન્યતા, વિધિ, રીત-રિવાજો, મૂલ્યો અને અનેકવિધ જીવનશૈલી. પરંપરા માત્ર સાંસ્કૃતિક જ નથી, પરંતુ એ આપણા સામૂહિક જ્ઞાન, અનુભવો, ઇતિહાસ અને માનવીય મૂલ્યોનું પ્રતિબિંબ છે. જેવી કે-તહેવારોની ઉજવણી, ધાર્મિક અનુષ્ઠાનો, ભાષા અને સાહિત્ય, કળા, નૃત્ય અને સંગીત કુટુંબવ્યવસ્થા, સંસ્કાર અને નિયમો, ગામડાની લોકપ્રણાલીઓ વગેરે.
આવી પરંપરા સમાજને એકતા, સ્થિરતા અને ઓળખ આપે છે. આપણા વર્તનમાં, ભાષામાં અને મૂલ્યોમાં પરંપરાની ઊંડી છાપ જોવા મળે છે.

* પરિવર્તનનો અર્થ :

પરિવર્તન એટલે સમય પ્રમાણે થતાં સુધારા, બદલાવ અને નવીનતા. માનવ બુદ્ધિ, વૈજ્ઞાનિક વિચારસરણી, ટેકનોલોજી અને સામાજિક જરૂરિયાતોની અસર હેઠળ પરિવર્તન થતું રહે છે. 

* ઉદાહરણ :

વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રગતિ, શિક્ષણ પદ્ધતિમાં બદલાવ, કૃષિ, ઉદ્યોગ અને અર્થતંત્રમાં સુધારા, વ્યક્તિગત સ્વાતંત્ર્ય અને અધિકારો વિશે નવી સમજ,પારિવારિક માળખામાં પરિવર્તન. વૈશ્વિકીકરણ પરિવર્તન સમાજને પ્રગતિ તરફ ધકેલી જાય છે, નવી સમસ્યાઓનો ઉકેલ આપે છે અને જીવનની ગુણવત્તા સુધારે છે.

* પરંપરા ને પરિવર્તન વચ્ચે સંબંધ:

આ બન્ને તત્ત્વ એકબીજા વિરુદ્ધ દેખાય છે, પરંતુ વાસ્તવમાં એ પતંગ અને દોર જેવા છે. દોર વગર પતંગ ઊડતો નથી અને પતંગ વગર દોરનો કશો ઉપયોગ નથી.

પરંપરા આપે છે મૂળ-જે સમાજ પોતાની પરંપરાથી ટકે છે, પરંપરા માણસને મૂલ્યો શીખવે છે -જેમ કે વડીલોને માન, અતિથિ દેવો ભવ:, પ્રકૃતિનું સન્માન, પરિવારની એકતા.

પરિવર્તન આપે છે ઉડાન-સમાજ માત્ર પરંપરા પર ચાલે તો પાછળ રહી જાય. પરિવર્તન એનાથી આગળ વધવા મદદ કરે છે -જેમ કે સ્ત્રીશિક્ષણ, સામાજિક ન્યાય, આરોગ્ય અને ટેકનોલોજી. આથી જ પરંપરા અને પરિવર્તન બંનેનું સંતુલન અત્યંત જરૂરી છે.

* પરંપરા -પરિવર્તન વચ્ચે સંઘર્ષ:

જૂની માન્યતાઓ આધુનિક વાસ્તવિકતાઓથી અથડાય છે ત્યારે સંઘર્ષ ઊભો થાય છે. આ સંઘર્ષ મુખ્યત્વે આ ક્ષેત્રોમાં જોવા મળે છે:

(1) શિક્ષણ ક્ષેત્રે:

હમણાં નવી શિક્ષણ નીતિઓ બાળકોની સર્જનાત્મકતા અને ટેક્નિકલ કુશળતા પર ભાર રાખે છે, જ્યારે જૂની પદ્ધતિ રટણ અને શિસ્તને મહત્ત્વ આપતી હતી. આ બંને વચ્ચે સમજ અને સંતુલન સ્થાપિત કરવું જરૂરી છે.

(2) પરિવારિક જીવનમાં:

જૂની સંસ્કૃતિ સંયુક્ત પરિવારને શ્રેષ્ઠ માનતી હતી, હવે નવી પરિસ્થિતિઓને કારણે ન્યુક્લિયર (વિભક્ત) કુટુંબો વધ્યા છે. એક તરફ પરંપરાગત મૂલ્યો, બીજી તરફ સ્વાતંત્ર્ય અને વ્યવહારિકતા.

(3) સામાજિક રિવાજોમાં:

કેટલાક જૂના રિવાજો સમયોચિત નથી, જેમ કે દહેજપ્રથા, અંધશ્રદ્ધા, અસમાનતા. પરિવર્તન આને પડકાર આપે છે અને સુધારાની માગ કરે છે.

(4) આર્થિક વ્યવસ્થામાં:

પરંપરાગત કૃષિ આધારિત અર્થતંત્ર હવે ઔદ્યોગિક અને ડિજિટલ માળખાથી બદલાઈ રહ્યું છે. આ બદલાવ વચ્ચે પરંપરાગત જીવનધોરણ પર અસર પડે છે.

* પરંપરાના લાભ:

પરંપરા આપણા સમાજનો આધારસ્તંભ છે. તેના કેટલાંક મહત્ત્વપૂર્ણ લાભ છે, જેવા કે સામાજિક એકતા, તહેવારો, ભાષા, રિવાજો આપણી અસ્મિતા ટકાવી રાખે છે. બાળકોમાં નૈતિકતા, કર્તવ્યભાવ, માન અને મર્યાદા વિકસાવે છે.

* પરિવર્તનના લાભ

પરિવર્તન સમાજને નવું જીવન, દિશા અને શક્તિ આપે છે. વિજ્ઞાન, ટેકનોલોજી અને શિક્ષણ જીવનને સરળ બનાવે છે. જૂની ખોટી પરંપરાઓથી મુક્તિ મળે છે. નવી વિચારસરણી, ઉદ્યોગો અને ટેકનોલોજી રોજગાર વધારે છે. મનુષ્યને પોતાની ક્ષમતા મુજબ આગળ વધવાની તક મળે છે. વૈશ્વિકીકરણથી જ્ઞાન અને સંસ્કૃતિનું આદાનપ્રદાન થાય છે.

ટૂંકમાં...
પરંપરા અને પરિવર્તન બંને જીવનની આવશ્યક શક્તિ છે. પરંપરા આપણને ઓળખ આપે છે, સંસ્કાર અને ભરોસો આપે છે. જ્યારે પરિવર્તન આપણને સર્જનાત્મકતા, પ્રગતિ, સ્વાતંત્ર્ય અને વિકાસ આપે છે. જો સમાજ માત્ર પરંપરામાં ગુંથાઈ જાય તો પાછળ રહી જાય, અને જો માત્ર પરિવર્તન અપનાવી લે તો પોતાની ઓળખ ગુમાવી દે. આથી આ બંને તત્ત્વનું સમન્વય જ જીવનને સમૃદ્ધ અને સમાજને પ્રગતિશીલ બનાવી શકે છે.