અમદાવાદઃ આરોગ્ય વિભાગ અથવા મનપા દ્વારા પાડવામાં આવતી રેડ દરમિયાન નકલી અથવા હલકી ગુણવત્તાના ખાદ્યપદાર્થો વારંવાર મળતા રહે છે. ફરી આવી એક રેડ દરમિયાન લગભગ 1,444 કિલો જેટલા મોટા જથ્થામાં ઘી મળી આવ્યું હતું. પાલનપુર વિસ્તારમાંથી આશરે ૪૪૮ કિલો ઘીનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. દિયોદર વિસ્તારમાંથી અંદાજે ૪૪૬ કિલો ઘી મળી આવ્યું હતું.
આ સાથે અન્ય એક સ્થળેથી આશરે ૫૫૧ કિલો જેટલો ઘીનો જથ્થો ઝડપાયો હતો. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ અંદાજે ૧,૪૪૪ કિલોગ્રામથી વધુ શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું, જેની કિંમત રૂ. ૮,૨૮,૪૯૦થી વધુ હોવાનું બહાર આવ્યું હતું. આ પ્રકારની ઘટના બાદ આરોગ્ય પ્રધાન પફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે આવા નકલી ખાદ્ય પદાર્થો બનાવતા અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.
પ્રફુલ પાનશેરીયાના નિર્દેશ અનુસાર સમગ્ર મામલે ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમ-૨૦૦૬ હેઠળ કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર લોકો સુધી શુદ્ધ અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો પહોંચે તે માટે પ્રતિબદ્ધ છે અને આવનારા સમયમાં પણ આવી કાર્યવાહીઓ વધુ સઘન બનાવવામાં આવશે.