અમદાવાદઃ પરફ્યુરેટેડ એપેન્ડીક્સ જે છિદ્રિત એપેન્ડિક્સના નામે પણ ઓળખાય છે, તેનાથી પીડાતા એક દસમાં ધોરણના વિદ્યાર્થીના કેસમાં સુરત કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિઅડ્રેસલ કમિશન (સીડીઆરસી)એ વીમા કંપનીને ઝાટકી હતી અને વિદ્યાર્થીને રૂ. 2.2 લાખનું વળતર આપવા આદેશ આપ્યો હતો. કમિશનને જણાવ્યું હતું કે એક દસમા ધોરણનો વિદ્યાર્થી આવી બીમારી હોવા છતાં પરીક્ષા આપતો હોય, તો તમારે તેની હિંમતને દાદ આપવી જોઈએ અને આવી સ્થિતિમાં તેમને સૌથી સારી સેવા આપવી જોઈએ.
એક અહેવાલ દ્વારા આ કેસની મળતી વિગતો અનુસાર સુરતના એક વેપારીએ 2020માં એક વીમા કંપની પાસેથી રૂ. 5 લાખની વીમા પોલીસી લીધી હતી. માર્ચ 11, 2020ના રોજ તેમના પુત્રની તબિયત લથડી હતી અને તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને પરફ્યુરેટેડ એપેન્ડિક્સ હોવાનું નિદાન થયું હતું અને તે જ દિવસે તેની સર્જરી પણ કરવામાં આવી હતી. આ સમય દરમિયાન તેની દસમા ધોરણની બોર્ડ એક્ઝામ પણ હતી. તેનું વર્ષ ન બગડે તે માટે ડોક્ટરે તેને પરીક્ષામાં બેસવા માટે પરવાનગી આપી હતી.
માર્ચ 19, 2020ના રોજ તેના ડિસ્ચાર્જ બાદ વેપારીએ રૂ. 2.2 લાખ માટે વીમા કંપનીમાં ક્લેમ કર્યો હતો, જેને વીમા કંપનીએ નકારી કાઢ્યો હતો. અહેવાલ અનુસાર કંપનીએ એવું કારણ આપ્યું હતું કે વીમાધારક વિદ્યાર્થી પરીક્ષામાં બેઠો હતો, તેનો અર્થ એવો થાય છે કે તેને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ન હતી. ત્યારબાદ વેપારી પિતાએ સુરત સીડીઆરસીમાં જાન્યુઆરી, 2021માં ફરિયાદ દાખલ કરી હતી. જેના જવાબમાં કમિશને વીમા કંપનીને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
Gemini_Generated_Image