Wed Jun 17 2026

Logo

ઉત્તર પ્રદેશમાં પણ સમાજવાદી પાર્ટીમાં ભંગાણની અટકળો તેજ

2026-06-17 18:37:57
Author: Chandrakant Kanoja
Article Image

લખનૌ: દેશમાં પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર બાદ હવે ઉત્તર પ્રદેશમાં રાજકારણ ગરમાયું છે. જેમાં ટીએમસી અને શિવસેના(યુબીટી) ના સાંસદોએ પક્ષ છોડ્યા બાદ હવે યુપીમાં સમાજવાદી પાર્ટીમાં પણ ભંગાણની અટકળો તેજ થઇ છે. જેમાં યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને કેબિનેટ મંત્રી ઓમ પ્રકાશ રાજભરે દાવો કર્યો છે કે સમાજવાદી પાર્ટીના અનેક  સાંસદો અને નેતાઓ ભાજપમાં જોડાવવા  તૈયાર છે. 

આ નેતાઓ પોતાની મરજીથી અલગ થશે 

આ અંગે યુપીના નાયબ મુખ્યમંત્રી  કેશવ પ્રસાદ મૌર્યએ કાનપુરમાં દાવો કર્યો હતો કે સમાજવાદી પાર્ટી ના 25 થી 26 સાંસદો પક્ષ બદલવા અને પાર્ટીથી અલગ થવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.  તેમણે  સ્પષ્ટતા કરી હતી કે આમાં ભાજપની કોઇ સક્રિયની ભૂમિકા નથી. તેમજ વર્ષ 2027 ની યુપી વિધાનસભા ચૂંટણી આવે ત્યાં સુધીમાં આ નેતાઓ પોતાની મરજીથી અલગ થઈ જશે. 

ઓમ પ્રકાશ રાજભરે પણ ભંગાણનો દાવો કર્યો 

ઉત્તર પ્રદેશના રાજકારણ ત્યારે ખળભળાટ મચી ગયો જ્યારે સરકારના મંત્રી  ઓમ પ્રકાશ રાજભરે  સોશિયલ મીડિયા પર  સમાજવાદી પાર્ટીમાં મોટા ભંગાણનો દાવો કર્યો હતો, તેમણે કહ્યું હતું  કે રામ ગોપાલ યાદવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને એક પત્ર સોંપ્યો છે. આ દરમિયાન યુપીના મંત્રી મનોજ પાંડેએ પણ ટિપ્પણી કરી હતી કે આજે કોઈ સમાજવાદી પાર્ટીમાં  રહેવા માંગતું નથી. આ  એક એવી પાર્ટી જે સત્તામાં હતી ત્યારે લોકોને ભગાડતી હતી.