Thu Jun 18 2026

Logo

સુરતમાં ધૂળેટીએ લુખ્ખાગીરી, પરિવારને રોકીને મહિલાઓનાં કપડાં ફાડ્યાં, વિરોધ કરતાં ફટકાર્યા

2026-03-05 12:14:00
Author: Mayurkumar Patel
Article Image

સુરતઃ રાજ્યમાં ધૂળેટીની ઉજવણી દરમિયાન સુરતમાં લુખ્ખાગીરી સામે આવી હતી. લુખ્ખાઓએ પરિવારને રોકીને મહિલાઓના કપડાં ફાડ્યાં હતા. વિરોધ કરવા પર તેમને ફટકાર્યા હતા.

શું છે મામલો

મળતી વિગત પ્રમાણે, સુરતના કતારગામમાં આવેલા બાપાસીતારામ ચોક પાસેથી ધૂળેટીના દિવસે એક પરિવાર પસાર થઈ રહ્યો હતો.  આ સમયે કેટલાક લુખ્ખાઓએ ગાડી પર ગંદા પાણીની કોથળીઓ ફેંકી હતી. પરિવાર આ બાબતનો વિરોધ કરતાં મામલો બિચક્યો હતો અને ઝપાઝપી શરૂ થઈ હતી.

બબાલ દરમિયાન વચ્ચે પડેલી મહિલા અને પુરુષોને ઈજા પહોંચી હતી. લુખ્ખાઓએ  મહિલાઓના કપડા ફાડ્યા હતા. ઘટનામાં 12 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેપ્ચર થઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોના નિવેદન નોંધ્યા હતા. તેમજ સીસીટીવીના આધારે લુખ્ખાઓને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે સુરત પોલીસે ગત મહિને જાહેરમાં લુખ્ખાગીરી કરતા તત્વોને  કાયદાનું ભાન કરાવ્યું હતું. સલાબતપુરામાં આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો. મારામારી કરી લોકોને રંજાડતા તત્વોની પોલીસે શાન ઠેકાણે પાડી હતી. સલાબતપુરા વિસ્તારમાં સામાન્ય બાબતે યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાની ઘટનામાં પોલીસે ગુનો નોંધી ત્રણ ઇસમોની કરી ધરપકડ કરી હતી. જે બાદ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યા હતા.