Mon May 04 2026

Logo

ચૂંટણી પંચ એ ભાજપનો સાથી પક્ષ છેઃ પાંચ રાજ્યના પરિણામો અંગે સંજય રાઉતે લગાવ્યા ગંભીર આરોપો

2026-05-04 18:59:24
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ અને પુડુચેરીની વિધાનસભા ચૂંટણીઓ અંગે નિવેદન સંજય રાઉતે ભાજપ (ભારતીય જનતા પાર્ટી) પર એક સાથે ૯૦ લાખ મતો ડિલિટ કરવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ તેમણે એવી ટીકા પણ કરી હતી કે ચૂંટણી પંચ એ ભાજપનો સાથી પક્ષ છે.

સંજય રાઉતે ભાજપ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે શરૂઆતના વલણો પોસ્ટલ બેલેટના હતા અને હવે ધીમે ધીમે મતગણતરી શરૂ થઈ છે, જેના ચોક્કસ પરિણામ માટે હજુ સમય લાગશે. 
તેમણે ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને પછાડવા માટે ચૂંટણી પંચ અને ભાજપે મળીને મતદાર યાદીમાંથી અંદાજે ૯૦ લાખ મતો દૂર કર્યા છે. રાઉતના મતે, જ્યારે આટલી મોટી સંખ્યામાં મતો ડિલીટ કરવામાં આવે, ત્યારે તેની સીધી અસર ચૂંટણીના પરિણામો પર પડે છે.

સંજય રાઉતે વધુમાં જણાવ્યું કે, મતદારોએ હજુ સુધી પોતાનો અંતિમ ચુકાદો આપ્યો નથી. સામાન્ય રીતે  ૨૦-૨૫ રાઉન્ડની ગણતરી બાદ જ પરિણામો જાહેર થતા હોવાથી આપણે થોડી રાહ જોવી પડશે; માત્ર પહેલા કે બીજા રાઉન્ડના આધારે પરિણામ નક્કી કરી શકાય નહીં.

ચૂંટણી પંચ એ ભાજપનો સાથી પક્ષ છે અને જો તેઓ સાથે હોય તો કંઈ પણ કરી શકે છે. પશ્ચિમ બંગાળમાં ગમે તે થઈ શકે છે. જ્યારે ભાજપને ચૂંટણી જીતવી હોય છે, ત્યારે તેઓ આવા તમામ હથકંડા અપનાવે છે, રાઉતે જણાવ્યું હતું.