મુંબઈ: વંચિત બહુજન આઘાડીના નેતા પ્રકાશ આંબેડકરે શનિવારે એવો દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રની મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)માં 2.9 કરોડ મતદારોના નામ રદબાતલ થઈ શકે છે.તેમણે વધુમાં દાવો કર્યો હતો કે આટલા મોટા પાયે નામ રદબાતલ થવાથી રાજ્યમાં આગામી ચૂંટણીના પરિણામ પર સીધી અસર પડી શકે છે.
જો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એવા વોર્ડમાંથી એક અસરગ્રસ્ત પરિવારને ભેગો કર્યો હોત જ્યાં ચૂંટણી પંચે એસઆઈઆર હેઠળ અસ્તિત્વમાં ન હોવાનો દાવો કરીને મત ઘટાડ્યા હતા અને તેમને મીડિયા સમક્ષ રજૂ કર્યા હોત તો સરકારનું જુઠ્ઠાણું ખુલ્લું પડી શક્યું હોત. તે સાબિત થયું હોત કે ચૂંટણી પંચ છેતરપિંડી કરી રહ્યું છે,’ એમ આંબેડકરે અહીં પત્રકારોને જણાવ્યું હતું.
સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, તેમણે ચૂંટણી પંચની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યો હતો. ‘મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં અનિયમિતતાઓને કારણે રાજ્યમાં મોટા પાયે મતદારો બાકાત રહી શકે છે,’ એમ તેમણે કહ્યું હતું.