Wed Jul 29 2026

Logo

PoKમાં હિંસક વિરોધ પ્રદર્શન: પાકિસ્તાન મંત્રીનો બફાટ, પ્રદર્શનકારીઓને કહ્યા 'ભારત જેવા દુશ્મન'...

Islamabad   2026-07-29 20:42:59
Author: Mumbai Samachar Team
Article Image

ખ્વાજા આસિફે વાતચીતનો ઇનકાર કર્યો, JAACનો દાવો સુરક્ષા દળોના ગોળીબારમાં નિર્દોષ નાગરિકો માર્યા ગયા

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં પ્રદર્શનકારીઓને ભારત જેવા 'દુશ્મન' ગણાવ્યા છે અને તેમની સાથે વાતચીતનો ઇનકાર કર્યો હતો, જ્યારે જોઈન્ટ આવામી એક્શન કમિટી (જેએએસી) એ બુધવારે દાવો કર્યો હતો કે છેલ્લા બે દિવસમાં સુરક્ષા દળોએ ૩૭ લોકોને મારી નાખ્યા છે.

આસિફે મંગળવારે પત્રકારોને જણાવ્યું કે "પ્રદર્શનોકારીઓ સાથે કોઈ વાતચીત થશે નહીં. હું તેમને ભારત સાથે જોડું છું. હું તેમને ભારતની શ્રેણીમાં મૂકું છું અને તેમને પાકિસ્તાનના દુશ્મન માનું છું". જોકે, વડા પ્રધાનના સલાહકાર રાણા સનાઉલ્લાહે પત્રકારોને જણાવ્યું હતું કે જેએએસી એ તેમની સાથે બેઠક કરી હતી અને તેમની ૩૮ માંગણીઓ રજૂ કરી હતી.

વિરોધીઓ બળ દ્વારા મુઝફ્ફરાબાદ અને મીરપુર કબજે કરવા માંગે છે એવો તેણે આરોપ મૂક્યો હતો. સનાઉલ્લાહે મંગળવારે દાવો કર્યો હતો કે તેઓ હાલમાં "ભારત જેવા હુમલા"માં રોકાયેલા છે. સનાઉલ્લાહે દાવો કર્યો હતો કે કાયદા અમલીકરણ કર્મચારીઓ અને પ્રદર્શનકારીઓ વચ્ચેની અથડામણમાં કોઈનું મોત થયું નથી.

જોકે, કાર્યકર્તા જૂથોના સમૂહ, જેએએસીએ બુધવારે જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસમાં પાકિસ્તાની દળો દ્વારા ૩૭ નિઃશસ્ત્ર શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ અને મહિલાઓ અને બાળકો સહિત લોકો, જેઓ વિરોધ પણ કરી રહ્યા નહોતા, માર્યા ગયા છે. પક્ષના દાવાની સ્વતંત્ર રીતે ચકાસણી થઈ શકાઈ નથી.

તેણે જણાવ્યું હતું કે સોમવારે જ્યારે જેએએસી એ પીઓકેમાં કહેવાતી વિધાનસભા માટે મતદાનના પ્રથમ તબક્કાના મતદાન સાથે લોંગ માર્ચ શરૂ કરી ત્યારે હિંસા ફાટી નીકળી હતી. એક નિવેદનમાં, જેએએસી એ કહ્યું હતું કે મોટી સંખ્યામાં લોકો ગોળીબારથી ગંભીર રીતે ઘાયલ થયાં છે.

તેણે કહ્યું હતું કે "હોસ્પિટલો દળોના નિયંત્રણમાં છે, ડોકટરોને દૂર કરવામાં આવ્યા છે, મેડિકલ સ્ટોર્સમાં કોઈ દવાઓ બાકી નથી. મૃતકો અથવા ઘાયલોને ઉપાડવાનો પ્રયાસ કરતા સ્વયંસેવકો પર પણ ગોળીબાર કરવામાં આવી રહ્યો છે".

તેણે 'ડોક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ' ને તાત્કાલિક રાવલકોટમાં સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય તબીબી ટીમો મોકલવા વિનંતી કરી હતી. દરમિયાન, મીડિયાના અહેવાલ મુજબ, બુધવારે મીરપુરમાં દુકાનો અને બજારો બંધ રહ્યા હતા.

અધિકારીઓએ આ પ્રદેશમાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી છે. ઉપરાંત, પાકિસ્તાનમાં જેએએસીના વિરોધ પ્રદર્શનના કવરેજ પર સંપૂર્ણ મીડિયા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મંગળવારે જિયો ન્યૂઝ સાથે વાત કરતા, સનાઉલ્લાહે કહ્યું કે એક સમયે પાકિસ્તાન દ્વારા તાલીમ પામેલા આતંકવાદીઓએ આખરે દેશ સામે બંદૂકો ફેરવી દીધી.

સનાઉલ્લાહે પીઓકેમાં અશાંતિ અંગેના પ્રશ્નોના જવાબમાં કહ્યું કે PoKમાં પ્રદર્શનકારીઓ તે 'મુજાહિદ્દીન' જેવા જ છે જેમને પાકિસ્તાને ભૂતકાળમાં તાલીમ આપી હતી, પરંતુ પછીથી તેઓ આપણી વિરુદ્ધ થઈ ગયા. આ સ્પષ્ટ સંદર્ભ પાકિસ્તાનની આતંકવાદીઓને ટેકો અને તાલીમ આપવાની નીતિના લાંબા ગાળાના પરિણામોને સ્વીકારતો દેખાય છે.

તેમણે કહ્યું કે પ્રદર્શનકારીઓમાં એવા સંગઠનોના સભ્યોનો સમાવેશ થાય છે જેમની પાસે કોઈ વાસ્તવિક રાજકીય માંગણીઓ વિના શસ્ત્રો છે. અફઘાન યુદ્ધ દરમિયાન આતંકવાદી જૂથો સાથે પાકિસ્તાનની સંડોવણી અને તેમની પછીની પ્રવૃત્તિઓ લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય તપાસનો વિષય રહી છે.

ઘણા અભ્યાસોએ અફઘાનિસ્તાન અને કાશ્મીરમાં કાર્યરત આતંકવાદી જૂથોને રાજ્યના સમર્થનનું દસ્તાવેજીકરણ કર્યું છે, જ્યારે આતંકવાદી માળખાના કેટલાક ભાગોએ પછીથી પાકિસ્તાનની અંદર હિંસામાં કેવી રીતે ફાળો આપ્યો તે પણ શોધી કાઢ્યું છે.

સોમવારે ૧૩ બેઠક પર યોજાયેલી ચૂંટણીના પ્રથમ તબક્કામાં, પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝે નવ બેઠક મેળવી હતી, જ્યારે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને ચાર બેઠક મળી હતી. બાકીની ૩૨ બેઠક માટે બીજા અને ત્રીજા તબક્કાનું મતદાન અનુક્રમે ૨ અને ૧૦ ઓગસ્ટના રોજ થશે.