Thu May 07 2026

Logo

મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડે મુંબઈ વોટર મેટ્રો પ્રોજેક્ટ માટે નોર્વેની કંપની સાથે એમઓયુ કર્યા

2026-05-07 18:43:22
Author: Vipul Vaidya
Article Image

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે જણાવ્યું હતું કે, મુંબઈ વોટર મેટ્રો પ્રોજેક્ટ જેમાં મહાનગર અને તેની આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની ભીડ ઓછી કરવા માટે ફેરી શરૂ કરવાનો વિચાર છે, તે ભારતમાં આધુનિક જળ પરિવહનના નવા યુગની શરૂઆત કરશે. રાજ્ય સરકાર મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર) ની વધતી જતી પરિવહન જરૂરિયાતોને પહોંચી વળવા માટે ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ જળ પરિવહન પ્રણાલી વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે, એમ તેમણે કહ્યું હતું. 

મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે સરકાર છેલ્લા દાયકાથી ટકાઉ જળ પરિવહનના ખ્યાલ પર સતત કામ કરી રહી છે અને મુંબઈ માટે એક વ્યાપક માળખાકીય યોજના તૈયાર કરી છે. મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડે વોટર મેટ્રો પ્રોજેક્ટના અમલ માટે નોર્વે સ્થિત મેરીટાઇમ ટેકનોલોજી કંપની હાઇક એએસ સાથે સમજૂતીના કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા તે પછી તેઓ બોલી રહ્યા હતા. આ કરારનો હેતુ મુંબઈ વોટર મેટ્રો પ્રોજેક્ટ માટે ટેકનોલોજીકલી અદ્યતન જહાજોના પુરવઠાને સરળ બનાવવા અને મહારાષ્ટ્રમાં શિપબિલ્ડિંગ સુવિધાઓની સ્થાપનાનો અભ્યાસ કરવાનો છે.

‘મુંબઈ જેવા મહાનગરમાં જળમાર્ગોનો અસરકારક ઉપયોગ હાલની પરિવહન પ્રણાલીઓ પર દબાણ ઘટાડવામાં મદદ કરશે. આગામી વર્ષોમાં દેશભરમાં ટકાઉ જળ પરિવહનની માંગ ઝડપથી વધવાની અપેક્ષા છે,’ એમ તેમણે જણાવ્યું હતું. દરિયાકાંઠાના અને ખાડી માર્ગોનો ઉપયોગ કરીને માર્ગ અને રેલ ભીડ ઘટાડવાનો પ્રયાસ કરતો આ પ્રોજેક્ટ દેશમાં આધુનિક અને ટકાઉ જળ પરિવહનના નવા યુગની શરૂઆત કરશે. મુંબઈ મોડેલ અન્ય શહેરો માટે માર્ગદર્શક તરીકે કામ કરી શકે છે, એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું. મત્સ્યઉદ્યોગ અને બંદરો ખાતાના પ્રધાન નિતેશ રાણેએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રના દરિયાઈ વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું છે અને હાઇક જેવી આંતરરાષ્ટ્રીય કંપની સાથે સહયોગ રાજ્યમાં બંદર વિકાસ, જહાજ નિર્માણ અને દરિયાઈ કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપશે.

કોચી મેટ્રો રેલ લિમિટેડ દ્વારા એમએમઆરમાં વોટર મેટ્રો પ્રોજેક્ટ માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) તૈયાર કરવામાં આવ્યો છે, એવી માહિતી આ પ્રસંગે આપવામાં આવી હતી. ડીપીઆરમાં એમએમઆરમાં હાલના 21 જળ પરિવહન માર્ગો પર 24 ટર્મિનલના અપગ્રેડેશન અને એમએમઆરમાં 10 નવા માર્ગો પર 21 ટર્મિનલના નિર્માણનો પ્રસ્તાવ છે. શહેરી જળ પરિવહન માટે રચાયેલ આધુનિક જહાજોના ઉત્પાદનમાં નિષ્ણાત હાઇકે મહારાષ્ટ્રમાં જહાજ નિર્માણ સુવિધાઓ સ્થાપવામાં પણ રસ દર્શાવ્યો છે, એવી માહિતી આપવામાં આવી હતી.