મુંબઈ/વાડા: મુંબઈના નળબજાર વિસ્તારમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોતના બનાવ બાદ "તરબૂચ ખાવાથી મૃત્યુ" એવો એક બિન-પ્રમાણિત નિષ્કર્ષ સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાયો હતો અને ગણતરીના કલાકોમાં જ રાજ્યભરમાં ડરનો માહોલ સર્જાયો હતો. 'તરબૂચ ખાવાથી જીવનું જોખમ છે' તેવી લોકભાવના પ્રબળ બનતા મુંબઈ, થાણે અને પાલઘર જિલ્લાના બજારોમાં તરબૂચનું વેચાણ સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે.
ગ્રાહકોના મનમાં ઉભા થયેલા ડરને કારણે વિક્રેતાઓએ તરબૂચનું વેચાણ બંધ કરી દીધું છે. કેટલાક વેપારીઓના મતે, જો તરબૂચ દુકાનમાં રાખવામાં આવે તો અન્ય ફળોના વેચાણમાં પણ ઘટાડો થઈ રહ્યો છે, તેથી નુકસાન ટાળવા માટે વિક્રેતાઓએ વેચાણ બંધ કરવાનો નિર્ણય લેવો પડી રહ્યો છે. પરિણામે, આખી સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે અને તેની સૌથી મોટી અસર ખેડૂતો પર પડી રહી છે.
પાલઘર જિલ્લાના વાડા, વિક્રમગઢ, પાલઘર અને વસઈ પટ્ટામાં તરબૂચ એ મુખ્ય રોકડિયો પાક માનવામાં આવે છે. આ વર્ષે સીઝનની શરૂઆતમાં કેટલાક ખેડૂતોને પ્રતિ ટન રૂ. ૨૦ થી ૨૩ હજાર સુધીનો ભાવ મળ્યો હતો. જોકે, ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે સર્જાયેલી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને લીધે નિકાસ ઠપ્પ થઈ ગઈ હતી. પરિણામે વેપારીઓએ ખરીદી ઘટાડી દીધી અને ભાવ સીધા ગગડીને અડધા થઈ ગયા હતા.
બીજી તરફ, કાળઝાળ ગરમીને કારણે તૈયાર માલ બગડી જવાનો ડર હોવાથી ખેડૂતોએ જે ભાવ મળ્યો તે ભાવે વેચાણ કરી દીધું, એમ તરબૂચ પકવતા ખેડૂત મધુકર કાશીનાથ સાંબરેએ જણાવ્યું હતું. તેમાં પણ 'તરબૂચને કારણે મૃત્યુ'ની અફવાએ પરિસ્થિતિ વધુ ગંભીર બનાવી દીધી છે. જેના કારણે ખેડૂત અત્યારે બેવડી મુસીબતમાં ફસાયો છે.