Sun May 17 2026

Logo

અમદાવાદીઓ હવે રાત્રે આટલા વાગ્યા સુધી કરી શકાશે મેટ્રોની મુસાફરી

2026-05-17 11:28:00
Author: Mumbai Samachar Team
Article Image

અમદાવાદઃ અમદાવાદ ના શહેરીજનો માટે પરિવહન ક્ષેત્રે એક આનંદના સમાચાર સામે આવ્યા છે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં ફ્યુઅલ સેવિંગ માટે વધુમાં વધુ જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની પ્રધાનમંત્રીની અપીલને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં અમદાવાદ મેટ્રો સેવાઓનો સમય રાત્રે 11 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે. આગામી સોમવારથી નવા સમયપત્રકનો અમલ થશે.

રાજ્ય સરકારની અપીલ અને મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો ટ્રેનના સમયમાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય (Decision) લેવામાં આવ્યો છે. અમદાવાદમાં મેટ્રો ટ્રેન રાત્રે 10 વાગ્યાને બદલે 11 વાગ્યા સુધી દોડશે. જાહેર પરિવહનને (Public Transport) વધુ પ્રોત્સાહન આપવા અને મોડી રાત્રે મુસાફરી કરતા નોકરિયાતો તેમજ નાગરિકોની સુવિધા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

છેલ્લી ટ્રેનનો સમય 11 વાગ્યા સુધી વધારી દેવાયો

વસ્ત્રાલ ગામથી હાલમાં છેલ્લી ટ્રેન રાત્રે 10 વાગ્યે ઉપડતી હતી. જેને હવે રાત્રે 11 વાગ્યા સુધી લંબાવાઈ છે. થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ જતી છેલ્લી ટ્રેન પણ હવે રાત્રે 11 વાગ્યા સુધી દોડશે. એપીએમસીથી હાલમાં છેલ્લી ટ્રેન રાત્રે 10.10 વાગ્યે ઉપડતી હતી, જેને હવે 11.10 વાગ્યા સુધી જયારે કોટેશ્વરથી એપીએમસી જતી છેલ્લી ટ્રેનનો સમય પણ હવે રાત્રે 11 વાગ્યા સુધી વધારી દેવાયો છે.

ઇંધણ બચાવવા સરકારન નિર્ણય 

કોટેશ્વરથી મહાત્મા મંદિર, ગાંધીનગર જતી છેલ્લી ટ્રેન અગાઉ સાંજે 7.43 વાગ્યે હતી, જેને હવે રાત્રે 9.20 વાગ્યા સુધી લંબાવાઈ છે. તે જ રીતે મહાત્મા મંદિરથી કોટેશ્વર અને એપીએમસી જતી છેલ્લી ટ્રેન પણ હવે રાત્રે 9 વાગ્યે ઉપલબ્ધ રહેશે. આ નિર્ણયથી અપડાઉન કરનારા તેમજ વિદ્યાર્થીઓ સહિતના મુસાફરોને ફાયદો થશે. ઈંધણ બચાવવા અને જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પૂર્વ-પશ્ચિમ કોરિડોર

વસ્ત્રાલગામથી હાલમાં છેલ્લી ટ્રેન રાત્રિના 10 કલાકે ઊપડતી હોય છે. જે લંબાવીને હવે છેલ્લી ટ્રેન રાત્રિના 11 કલાકે ઉપડશે જે અન્વયે વધારાની 3 સર્વિસ રાત્રે 10:20, 10:40 અને 11 કલાકે વસ્ત્રાલ ગામથી ઉપડીને થલતેજ ગામ જશે. તો થલતેજ ગામથી છેલ્લી ટ્રેન રાત્રે 10 કલાકે ઊપડતી હતી, જે લંબાવીને હવે છેલ્લી ટ્રેન રાત્રિના 11 કલાકે ઉપડશે. 

ઉત્તર-દક્ષિણ કોરિડોર

એપીએમસીથી અત્યારે છેલ્લી ટ્રેન રાત્રિના 10:10 કલાકે ઊપડતી હોય છે જે લંબાવીને હવે છેલ્લી ટ્રેન રાત્રિના 10:10 કલાકે ઉપડશે જે અન્વયે વધારાની 3 સર્વિસ રાત્રે 10:30, 10:50 અને 11:10 કલાકે એપીએમસીથી ઉપડીને કોટેશ્વર સુધી જશે. કોટેશ્વરથી છેલ્લી ટ્રેન રાત્રે 10:05 કલાકે ઊપડતી હતી. જે લંબાવીને હવે છેલ્લી ટ્રેન રાત્રિના 11 કલાકે ઉપડશે જે અન્વયે વધારાની 3 સર્વિસ રાત્રે 10:20, 10:40 અને 11 કલાકે કોટેશ્વરથી ઉપડીને એપીએમસી સુધી જશે.