અમદાવાદઃ રાજકોટના પૂર્વ ઝોન મામલતદારે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર રહેતા રહેવાસીઓને ઘર ખાલી કરાવવાની અંતિમ નોટિસ જારી કરી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં જંગલેશ્વર, નાડોદાનગર, બુદ્ધનગર અને રાધા-કૃષ્ણનગરનો સમાવેશ થાય છે.
મામલતદાર કચેરીના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણથી ચાર દાયકામાં કલેક્ટરના અંતિમ પ્લોટ પર લગભગ 1,357 અતિક્રમણ થયા છે. જિલ્લા વહીવટીતંત્રે હવે આ અનધિકૃત બાંધકામોને દૂર કરવા માટે એક મોટી ઝુંબેશ શરૂ કરી છે. અગાઉ, કલમ 61 હેઠળ નોટિસ જારી કરવામાં આવી હતી, અને રહેવાસીઓને વ્યક્તિગત સુનાવણીની તક આપવામાં આવી હતી. જો કે, મોટાભાગના કહેવાસીઓ ચકાસણી પ્રક્રિયા દરમિયાન માન્ય જમીન માલિકી દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ ગયા હતા.
મંગળવારે, મામલતદારે કલમ 202 હેઠળ અંતિમ નોટિસ જારી કરી હતી, જેમાં રહેવાસીઓને સાત દિવસની અંદર જમીન ખાલી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. અધિકારીઓએ ચેતવણી આપી હતી કે જો નિર્ધારિત સમયગાળામાં અતિક્રમણ દૂર કરવામાં નહીં આવે તો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
લગભગ એક લાખ ચોરસ મીટર સરકારી જમીન પાછી મેળવવા માટે, પૂર્વ ઝોન મામલતદારે શરૂઆતમાં રાજકોટની સ્થાનિક કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ, સરકારની મંજૂરી સાથે, આ મામલો ગુજરાત હાઇકોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો.
વહીવટીતંત્રે ખાલી કરાવવાની અંતિમ નોટિસ જારી કરતા પહેલા પાંચ દિવસ, 29, 30 અને 31 ડિસેમ્બર, 2025 અને 8 અને 19 જાન્યુઆરી, 2026 ના રોજ સુનાવણી પણ કરી હતી.
રહેવાસીઓનો દાવો છે કે લગભગ 4,000 પરિવારો, જેમાં લગભગ 20,000 લોકોનો સમાવેશ થાય છે, ઘણા દાયકાઓથી આ વસાહતોમાં રહે છે. સરકાર જો ડિમોલિશન કરશે તો હજારો પરિવારો બેઘર થઈ જશે, આથી તેમણે આ વસાહતોને નિયમિત કરવાની અપીલ પણ કરી હતી.
કોર્ટે અધિકારીઓને રાજ્ય સરકારની ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના હેઠળ આ મામલાની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હોવાનું કહેવાય છે. રહેવાસીઓએ પણ વૈકલ્પિક રહેણાકની માગણી કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.