Thu Aug 27 2026

Logo

ભારત-રશિયા વચ્ચે ડિફેન્સ ડીલ થઈ કે નહીં? એક્સપર્ટે જણાવ્યું જાહેરાત ન કરવાનું કારણ

2025-12-05 22:44:44
Author: Mumbai Samachar Team
ભારત-રશિયા વચ્ચે ડિફેન્સ ડીલ થઈ કે નહીં? એક્સપર્ટે જણાવ્યું જાહેરાત ન કરવાનું કારણ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ભારત પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે અનેક મોટા કરારો થયા છે. બંને દેશો વચ્ચે સ્વાસ્થ્ય, શિક્ષણ, વર્કફોર્સ, શિપિંગ, પોર્ટ, પ્રવાસન વગેરે જેવી ક્ષેત્રોમાં સહકાર વધારવા પર સહમતી સંધાઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિન પચ્ચે થયેલી દ્વિપક્ષીય વાટાઘાટો પછી બંને દેશો વચ્ચે થયેલા સાત કરારો વિશે માહિતી આપવામાં આવી છે. જોકે, આ કરારમાં સંરક્ષણ કરારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

સંરક્ષણ કરારનો ઉલ્લેખ કેમ ન કરાયો

ડિફેન્સ એક્સપર્ટ નિવૃત્ત મેજર જનરલ સંજય મેસ્ટને મીડિયાને જણાવ્યું કે, અમે અમેરિકા સાથે MQ-9B ખરીદ્યું હતું. રાષ્ટ્રપતિ બાઇડન જ્યારે અહીં આવ્યા હતા, ત્યારે તેની પણ કોઈ જાહેરાત કરવામાં આવી ન હતા. આ ચર્ચા કદાચ એટલા માટે નથી થતી, કારણ કે સંરક્ષણ કરાર અનેક રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રભાવિત થાય છે. આ એક એવી પ્રક્રિયા છે, જેને લઈને ભારત-રશિયા વચ્ચે વાત ચાલતી રહે છે. S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની ખરીદીને લઈને પણ કોઈ મોટી જાહેરાત કરવામાં આવી ન હતી.

તેમણે આગળ જણાવ્યું કે, "ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એવી ચર્ચા થઈ રહી છે કે, પોતાના ભારત પ્રવાસ દરમિયાન પુતિન ભારતને પાંચ હથિયાર આપવા જઈ રહ્યું છે. જેમાં Su-57, R-37 મિસાઇલ, S-500 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ, જિરકોન હાઇપરસોનિક મિસાઇલ અને એન્ટિ સ્ટેલ્થ રડારનો ઉલ્લેખ હતો. જેને લઈને ચીન ચિંતામાં મૂકાયું હતું. હોઈ શકે કે, આ ચિંતાને ધ્યાનમાં રાખીને સંરક્ષણ કરારની જાહેરાત કરવામાં આવી નથી. અગાઉ પણ અમે સુખોઇ-30 માટે શું શું નથી કર્યું. ક્યારે કોઈને લઈને દ્વિપક્ષીય બેઠકમાં જાહેરાત થઈ નથી."

ભારતની પ્રગતીથી ઘણા દેશો નાખુશ

ફોરેન મેટર્સના એક્સપર્ટ રોબિંદર સચદેવે મીડિયાને જણાવ્યું કે, "ભારત-રશિયાના આર્થિક સંબંધોની વિડંબના એ છે કે, વધારે પડતો વેપાર ડિફેન્સ અને ન્યૂક્લિયર એનર્જીમાં છે. યૂક્રેનના યુદ્ધ બાદ આપણે રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું શરૂ કર્યું. યૂક્રેન-રશિયા યુદ્ધ પહેલા ભારત-રશિયાનો દ્વિપક્ષીય વેપાર માત્ર 15 ડોલર હતો. હવે અમે 100 અબજ ડોલરનું લક્ષ્ય રાખી રહ્યા છીએ, કારણ કે ઓઇલ વધારે છે. કાલે જો યુદ્ઘ રોકાઇ જાય છે તો રશિયા ઓઇલની જૂની કિંમતો સાથે ગ્લોબલ માર્કેટમાં પાછું આવી જશે. ત્યારે આપણો વેપાર ઘટીને 20-25 અબજ ડોલર પર આવી જશે. તેથી તે આપણા માટે એક મોટો પડકાર છે. તેથી આપણે ડિફેન્સ, ન્યૂક્લિયર અને ઓઇલ સિવાયના જે પણ સેક્ટર છે, તેમાં પણ વેપાર વધારવાની જરૂર છે. તેથી ભારત-રશિયા વચ્ચે જે કરાર થયા છે, તેમાં વિવિધતા છે."  

રશિયા પાસેથી ઓઇલ ખરીદી પર અમેરિકાના દબાણને લઈને પુતિને મીડિયાને જણાવ્યું કે, ભારત-રશિયાના ઓઇલ વેપાર કોઈ રાજનીતિક દબાણથી પ્રભાવિત થયો નથી. ભારતના વધતી પ્રગતીથી વિશ્વના ઘણા દેશો ખુશ નથી, તેને રોકવા માટે રાજનીતિક દાવપેચ અપનાવવામાં આવી રહ્યા છે.