ભોપાલ: મધ્ય પ્રદેશ વિધાનસભામાં યુસીસી બિલ વિપક્ષના ભારે હંગામા વચ્ચે પસાર થયું છે. આ દરમિયાન વિપક્ષ પર પ્રહાર કરતાં સીએમ મોહન યાદવે જણાવ્યું હતું કે તેમના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ છે જનતા તેમને ક્યારેય માફ નહિ કરે.
દેશમાં બધા નાગરિકો માટે સમાન કાયદા હોવા જોઈએ
આ હંગામા વચ્ચે મુખ્યમંત્રી મોહન યાદવે સરકારનું વલણ રજૂ કર્યું. તેમણે કહ્યું કે જે લોકો હિન્દુઓના હિતનું રક્ષણ કરે છે તેઓ જ શાસન કરશે. તેમણે કહ્યું કે સમાનતા એ આપણી સંસ્કૃતિનો સાર છે. તેમણે પૂછ્યું કે જ્યારે ભગવાનની નજરમાં બધા સમાન છે ત્યારે માનવસર્જિત કાયદાઓમાં અલગ અલગ જોગવાઈઓ કેમ હોવી જોઈએ, તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દેશમાં બધા નાગરિકો માટે સમાન કાયદા હોવા જોઈએ.
દેશ એક જ બંધારણથી ચાલશે
સીએમ મોહન યાદવે કહ્યું, રામથી રહીમ સુધી, રવિન્દ્રથી રોબિન સુધી, અને અમરથી એન્થોની અને અકબર સુધી દેશ એક જ બંધારણથી ચાલશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે યુસીસી લાગુ થવાથી મધ્યપ્રદેશમાં ભેદભાવ દૂર થશે.
મધ્ય પ્રદેશ યુસીસી બિલ મંજૂર કરનારું ચોથું રાજ્ય
ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશ યુસીસી બિલ મંજૂર કરનારું ચોથું રાજ્ય છે. આ પૂર્વે ઉત્તરાખંડે વર્ષ 2024માં, ગુજરાતે માર્ચ 2026માં અને આસામે મે 2026માં યુસીસી બિલ મંજૂર કર્યું હતું.