અમદાવાદ: વિવાદાસ્પદ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની મુશ્કેલીઓ સતત વધી રહી છે. સુરત કોર્ટે એક ગંભીર ખંડણી કેસમાં કીર્તિ પટેલની જામીન અરજી ફગાવી દીધી હતી, જેના કારણે તેને જેલમાં જ રહેવું પડશે. કીર્તિ પટેલ વિરુદ્ધ અગાઉ પણ સુરત તેમજ ગુજરાતના અન્ય પોલીસ સ્ટેશનોમાં મારામારી, ધમકીઓ આપવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ સહિતના 15થી વધુ કેસો નોંધાયેલા છે. આમ તેના ગુનાહિત ઇતિહાસ જોતા જામીન અરજી ફગાવી દીધી હતી.હવે આગામી સમયમાં તેની કાયદાકીય મુશ્કેલીઓ વધી શકે છે. અન્ય કેસને લઈને જ્યારે આગળ કાયદાકીય પ્રક્રિયાઓ થશે એ સંબંધિત કેસમાં પણ સજા મળી શકે છે.
જામીન માટે પ્રયાસ કરાયા
સુરતની કોર્ટમાં ચાલતી કાનૂની કાર્યવાહી દરમિયાન કીર્તિ પટેલ તરફથી જામીન મેળવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ કોર્ટે તેની આ અરજી ગ્રાહ્ય રાખવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. ખંડણી જેવા ગંભીર આરોપો હેઠળ ઘેરાયેલી હોવાથી તપાસ એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓ અને દલીલોને કોર્ટે મહત્વપૂર્ણ ગણ્યા હતા. અદાલતે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેને હાલ જામીન પર મુક્ત કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો, જેથી કાયદાકીય પ્રક્રિયા કડકાઈથી આગળ વધી શકે. આમ ખંડણીના કેસથી કીર્તિની મુશ્કેલીમાં વધારો થયો છે.
ભાવનગરના વેપારીએ ફરિયાદ કરી
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગરના વેપારી દ્વારા સોશિયલ મીડિયામાં બદનાક્ષી કરવા અને ધમકી આપવા અંગે ફરિયાદ નોંધાવી હતી કીર્તિ પટેલ દ્વારા અગાવ બળાત્કારની ફરિયાદ માટે 12 લાખનું સેટિંગ કર્યું હતું, ફરિયાદી રાજુ ભમ્મર પાસેથી દોઢ વર્ષ દરમિયાન 3.12 કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ તમામ બાબતે પુણા પોલીસે વિવિધ કલમો ઉમેરી કીર્તિ પટેલની ધરપકડ કરી હતી. પોલીસે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી ધરપકડ કરી હતી.