નવી દિલ્હીઃ કાળઝાળ ગરમીમાં શેકાતા લોકો માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગ દ્વારા ચોમાસાના આગમનની તારીખ જાહેર કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ પ્રમાણે, 26 જૂને ચોમાસાનું કેરલમમાં આગમન થઈ શકે છે. જો નિર્ધારિત તારીખે જ કેરલમમાં ચોમાસું બેસશે તો સતત બીજા વર્ષે સામાન્ય તારીખ પહેલા એન્ટ્રી થશે.
છેલ્લા થોડા વર્ષોના આંકડા પર નજર કરીએ તો ચોમાસાના સમયમાં મોટો ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. 2025માં ચોમાસું 24 મેના રોજ કેરલમ પહોંચ્યું હતું, જે સામાન્ય તારીખથી વહેલું હતું અને દેશભરમાં તેની ચર્ચા થઈ હતી.
2024માં ચોમાસાનું 30 મેના રોજ કેરલમમાં આગમન થયું હતું. 2023માં ચિત્ર અલગ હતું. તે વર્ષે ચોમાસું 8 જૂને કેરલમમાં પ્રવેશ્યું હતું, સામાન્યથી આશરે એક સપ્તાહનો વિલંબ થયો હતો. છેલ્લા થોડા વર્ષોમાં ચોમાસાની એન્ટ્રીમાં સતત બદલાવ જોવા મળ્યો છે. જે બદલાતી ક્લાયમેટ પેટર્ન તરફ ઈશારો કરે છે.
ખેડૂતો માટે છે રાહતના સમાચાર
ચોમાસાનું વહેલું આગમન એ માત્ર હવામાનના સમાચાર નથી, પરંતુ તેની સીધી અસર દેશના અર્થતંત્ર, ખેતી, વીજળીની માંગ, જળ સંગ્રહ અને મોંઘવારી પર પણ પડે છે. ભારતની મોટી વસ્તી આજે પણ ખેતી પર નિર્ભર છે અને ખેતીનો મોટો હિસ્સો ચોમાસા આધારિત છે. આવી સ્થિતિમાં, ચોમાસાનું સમયસર અથવા વહેલું પહોંચવું ખેડૂતો માટે રાહતના સમાચાર માનવામાં આવે છે. જો વરસાદ સારો રહે, તો ડાંગર, કઠોળ, શેરડી, સોયાબીન અને પાક લેવા માટેના અન્ય ઘણા ખરીફ પાકોની વાવણી સમયસર શરૂ થઈ શકે છે. આ ઉપરાંત, ચોમાસું વહેલું આવવાથી કાળઝાળ ગરમી અને હીટવેવમાંથી પણ રાહત મળવાની આશા વધી જાય છે.
ગયા વર્ષે કેટલો લાગ્યો સમય?
દિલ્હી સહિત ઉત્તર ભારતના લોકોની નજર પણ હવે ચોમાસાની ગતિ પર રહેશે. વર્ષ 2025માં દિલ્હીમાં ચોમાસાનો વરસાદ આશરે 29 જૂનની આસપાસ શરૂ થયો હતો. સામાન્ય રીતે કેરલમ પહોંચ્યા પછી ચોમાસાને દિલ્હી સુધી પહોંચવામાં લગભગ એક મહિનો જેટલો સમય લાગે છે. જો કે તેની ઝડપ દર વર્ષે અલગ હોઈ શકે છે.
This year, the southwest monsoon is likely to set in over Kerala on 26th May with a model error of ± 4 days: India Meteorological Department (IMD) pic.twitter.com/1fw5Whhry8
— ANI (@ANI) May 15, 2026
શું કહે છે હવામાન નિષ્ણાતો
હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે ચોમાસાનું વહેલું આગમન સારા સમાચાર ચોક્કસ છે, પરંતુ અસલી ધ્યાન આખી સીઝનના વરસાદ પર રહેશે. કારણ કે માત્ર વહેલું પહોંચવું જ પૂરતું નથી, પરંતુ વરસાદ આખી સીઝન દરમિયાન સંતુલિત રહે તે પણ જરૂરી છે.
જો વરસાદ સામાન્ય કે સામાન્ય કરતાં સારો રહેશે, તો તેનાથી જળાશયોના સ્તરમાં સુધારો થઈ શકે છે, વીજ ઉત્પાદનમાં મદદ મળી શકે છે અને ખાદ્ય મોંઘવારી પર પણ થોડો અંકુશ જોવા મળી શકે છે.