Sat Aug 29 2026

Logo

અમરેલીમાં દેવગામમાં રૂ. 78 લાખના પાણી પુરવઠાના કામોનું ખાતમુહૂર્ત...

2026-03-01 21:13:00
Author: Devayat Khatana
અમરેલીમાં દેવગામમાં રૂ. 78 લાખના પાણી પુરવઠાના કામોનું ખાતમુહૂર્ત...

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ
: અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના દેવગામ ખાતે પાણી પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરાનાર આશરે રૂ. ૭૮ લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્ય પ્રધાન કૌશિક વેકરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ વિકાસકાર્યો અંતર્ગત દેવગામ ખાતે ૨.૫ લાખ લિટર પાણીની સંગ્રહ ક્ષમતા ધરાવતી ઊંચી ટાંકી, ૫ લાખ લિટરની ક્ષમતા ધરાવતા પાણીનો સંપ, પંપ હાઉસ, ક્લોરીન રૂમ, કમ્પાઉન્ડ વોલ તથા જરૂરી મશીનરીનો સમાવેશ થાય છે. આ પ્રસંગે રાજ્ય પ્રધાન કૌશિક વેકરીયાએ કોન્ટ્રાક્ટરને કામો ગુણવત્તાયુક્ત ધોરણે અને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા માટે સૂચના આપી હતી. રાજ્ય સરકાર દ્વારા “જલ જીવન મિશન” કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં રહેણાંક વસ્તીને પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ ૧૦૦ એલ.પી.સી.ડી. મુજબ શુદ્ધ અને નિયમિત પાણી પુરવઠો ઉપલબ્ધ કરાવવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી રહી છે.

આ યોજના પૂર્ણ થતાં દેવગામ, માયાપાદર અને સારંગપુર ગામોને પાણી પુરવઠાનો લાભ મળશે. જંગર ગૃપ ઓગમેન્ટેશન હેઠળ આવતા કુલ ૭૧ ગામોમાં જૂથ પાણી પુરવઠા સુધારણા યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે, જે હાલ પ્રગતિ હેઠળ છે. આ કાર્યક્રમમાં સ્થાનિક સરપંચ, અગ્રણી મહેલુભાઈ ધોરાજીયા, વનરાજભાઈ કોઠીવાળ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.