ગાંધીનગરઃ 15મી ગુજરાત વિધાનસભાનું આઠમું સત્ર ચાલી રહ્યું છે. જેમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કચ્છ જીલ્લામાં નોંધાયેલા શિક્ષિત અને અર્ધ શિક્ષિત બેરોજગાર અંગે પ્રશ્ન પૂછ્યો હતો. જેનો જવાબ આપતાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર પ્રધાને જણાવ્યું, 31 ડિસેમ્બર, 2025ની સ્થિતિમાં કચ્છ જીલ્લામાં 5493 શિક્ષિત, 1484 અર્ધ શિક્ષિત મળી કુલ 6977 બેરોજગાર નોંધાયા છે. ગત વર્ષે કુલ 13,974 બરોજગારને નોકરી પૂરી પાડવામાં આવી હતી.

પ્રદ્યુમનસિંહ જાડેજાએ પૂછ્યું કે, 31-12-2025ની સ્થિતિએ કચ્છ જીલ્લામાં તાલુકાવાર નોંધાયેલા શિક્ષિત અને અર્ધ શિક્ષિત બેરોજગાર કેટલા છે અને ઉક્ત નોંધાયેલા બેરોજગારો પૈકી છેલ્લા એક વર્ષમાં કેટલા બેરોજગારોને નોકરી પૂરી પાડવામાં આવી? જેનો જવાબ આપતાં સરકારે જણાવ્યું, લખપત તાલુકામાં 194 શિક્ષિત અને 32 અર્ધ શિક્ષિત સહિત 226, અબડાસામાં 327 શિક્ષિત અને 44 અર્ધ શિક્ષિત સહિત 371, ભચાઉમાં 431 શિક્ષિત અને 65 અર્ધ શિક્ષિત સહિત 496, માંડવીમાં 417 શિક્ષિત અને 97 અર્ધ શિક્ષિત સહિત 514, મુંદ્રામાં 503 શિક્ષિત અને 68 અર્ધ શિક્ષિત સહિત 571, અંજારમાં 1169 શિક્ષિત અને 106 અર્ધ શિક્ષિત સહિત 1275 બેરોજગાર નોંધાયા હતા.
ગાંધીધામમાં 1540 શિક્ષિત અને 223 અર્ધ શિક્ષિત સહિત 1763, ભુજમાં 699 શિક્ષિત અને 346 અર્ધ શિક્ષિત સહિત 1045, રાપરમાં 85 શિક્ષિત અને 260 અર્ધ શિક્ષિત સહિત 345, નખત્રાણામાં 128 શિક્ષિત અને 243 અર્ધ શિક્ષિત સહિત 371 બેરોજગાર નોંધાયા હતા. વર્ષ 2025માં 1976 શિક્ષિત અને 11998 અર્ધ શિક્ષિત મળી કુલ 13,974ને રોજગારી આપવામાં આવી હતી.