વડોદરાઃ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ૮૦માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડોદરા જિલ્લાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતેમાં રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપી હતી. રાષ્ટ્રધ્વજ લહેરાવ્યા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત તમામને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવીને તેમનું અભિવાદન જીલ્યું હતું.સંબોધન દરમિયાન વડોદરાને લઈ તેમણે કેટલીક ખાસ વાતો કરી હતી.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ૮૦મા સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે,આપણા દેશની આઝાદીને ૧૦૦ વર્ષ પૂર્ણ થવામાં હવે માત્ર ૨૦ વર્ષ બાકી છે. વડાપ્રધાન નરેન્દ્રમોદીએ પાંચ વર્ષ પહેલા 'વિકસિત ભારત@૨૦૪૭'નું લક્ષ્ય આપ્યું હતું. આ ભવ્ય લક્ષ્યને પાર પાડવા આપણી પાસે હવે માત્ર બે દાયકા છે. ત્યારે આ ૮૦મો સ્વાતંત્ર્ય દિન માત્ર ઉજવણી નથી. આ પર્વ આગામી ૨૦ વર્ષના આયોજન માટેની એક મહાન પ્રેરણા છે.
દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસને યાદી કરતા તેમણે ઉમેર્યું કે, ગુજરાતના બે મહાન સપૂતોનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલુ છે. આ બે વિરલ સપૂતો એટલે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ. આ બંને આઝાદીની લડાઈના વિઝનરી આગેવાન હતા. તેમણે આઝાદીની લડાઇને એક નવી અને ચોક્કસ દિશા આપી હતી.
આઝાદીના સંગ્રામમા ગાયકવાડી શાસન અને વડોદરા નગરીના પ્રદાનને યાદ કરતા ઉમેર્યું કે, ગાયકવાડી શાસન સુશાસન અને રાષ્ટ્રનિર્માણની પાઠશાળા હતું. બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિભા મહારાજાએ ઓળખી તેમને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય આપી જેનો લાભ આઝાદ ભારતને મળ્યો હતો. ભારતના સંવિધાનના નિર્માણ અને સમાનતાના હક્કોના મૂળિયાં વડોદરાની આ 'સંકલ્પ ભૂમિ'માં રહેલા છે. સમૃદ્ધ ગુજરાત માટે, વિકસિત ગુજરાત માટે રાજ્ય સરકાર હરહંમેશ કાર્યરત છે ત્યારે આપણી સરકાર આદિવાસીઓથી લઈને શહેરીજનો, અબાલ-વૃદ્ધ સૌ કોઇના કલ્યાણ માટે કટિબદ્ધ છે.
વડોદરા જિલ્લાના દરેક ગામડા સુધી વિકાસના લાભ પહોંચ્યા છે. ૧૫મા નાણાપંચ અંતર્ગત વડોદરા જિલ્લાને રૂ. ૪૭૯ કરોડની ગ્રાંટ મળી છે. કુદરતી આફતો સમયે લોકો સુરક્ષિત રહે તેની પણ સરકારે ચિંતા કરી છે. સંવેદનશીલ વિસ્તારના લોકો માટે ૦૫ શેલ્ટર હોમ મંજૂર કરાયા છે.આકાશી આફતો સમયે સરકારે ખેડૂતોની વિશેષ ચિંતા કરી છે. છેલ્લા ૧૦ વર્ષમાં ૧.૩૬ કરોડ ખેડૂતોને સરકારે રાહત ચૂકવી છે.
'પીએમ કિસાન યોજના'માં રાજ્યના ૬૯.૨૫ લાખથી વધુ ખેડૂત કુટુંબોને લાભ મળ્યો છે. વડોદરા જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ૧,૮૧૦ ખેડૂતોને આર્થિક મદદ મળતા ૩૦૮ મોડેલ ફાર્મ અને બનાવ્યા છે. ગુજરાતમાં જળ-સંચય અભિયાનથી મોટી ક્રાંતિ આવી છે. વડોદરામાં પૂર નિયંત્રણ અને જળ સંચય માટે વ્યાપક કામગીરી હાથ ધરાઈ છે. વિશ્વામિત્રી નદીમાં ૨૯.૨૭ લાખ ઘનમીટર ડિસિલ્ટિંગ પૂર્ણ કરાયું છે. પૂર રાહત માટે વિશ્વામિત્રી પર ૧૩ અને સૂર્યા નદી પર ૫ ચેકડેમ બન્યા છે. દેણા ખાતે વિશ્વામિત્રી-સૂર્યાના સંગમ પર ૨૫ કરોડ લીટર ક્ષમતાનું બફર લેક તૈયાર કરાયું છે. જળ શક્તિ અભિયાન હેઠળ ૨૫૦૦થી વધુ જળ સંચયના કામો થયા છે. ખેડૂતોની સમૃદ્ધિ માટે સિંચાઈ યોજનાઓ વેગવાન બનાવાઈ છે. જેમાં રૂ. સાડા છસ્સો કરોડની તાપી-કરજણ લિંક પાઇપલાઇન યોજના શરૂ કરાઈ છે.
આદિજાતિ જનજાતીય ઉત્કર્ષ હેઠળ વડોદરા અને આસપાસના જિલ્લાઓના વિદ્યાર્થીઓ માટે નવા ૩ સરકારી છાત્રાલયો બનશે તથા જૂની છાત્રાલયની ક્ષમતા વધારવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ગુજરાત આજે ઉદ્યોગ, રોકાણ અને રોજગારી ક્ષેત્રે દેશમાં રોલ મોડલ છે. સરકાર યુવાનોને સરકારી અને ખાનગી ક્ષેત્રે રોજગાર આપવા સતત કાર્યરત છે. ૨૦૨૫-૨૬માં ૧,૩૩૩ ભરતીમેળા યોજી ૧,૧૫,૭૭૪ યુવાનોને નિમણૂક પત્રો અપાયા છે. છેલ્લા ૫ વર્ષમાં ૭,૪૦૩ મેગા રોજગાર ભરતીમેળાઓ યોજી ૬.૫૪ લાખથી વધુ યુવાનોને નોકરી પૂરી પાડવામાં આવી છે.
તેમણે યુવાનોને ખાસ ઉલ્લેખીને વિનંતી કરી હતી કે, આજના સમયની માંગ શહાદત નથી સહયોગ છે. આઝાદી મળી છે ત્યારે એક સાચા ભારતીય તરીકે આપને દેશની પ્રગતિમા સહયોગી બનીએ એ આજના સમયની માંગ છે. તમનણે પોતાના મનમાંથી કોઈ પણ પ્રકારના ભેદભાવ અને વાદવિવાદ વગર ઈમાનદારીથી જવાબદારીઓ નિભાવવા અનુરોધ કર્યો હતો. આ સાથે યુવાનોને કોઈ પણ પ્રકારના દુષણ અને વ્યસનના ફેશનથી મુક્ત રહેવા આગ્રહ કર્યો હતો. અંતે તેમણે સામાજિક સમરસ્તા જાળવવા અને સોશિયલ મિડીયાના ઉપયોગી થકી સમાજ સામાજિક દુષણો પ્રત્યે જાગૃતિ ફેલાવતા યુવાનોને બિરદાવ્યા હતા.