Tue Sep 15 2026

Logo

'6 વર્ષ યરવડા જેલમાં રહ્યો, છતાં મરાઠી ન શીખ્યો': સંજય દત્તના નિવેદનથી રાજકારણ ગરમાયું, ભાજપના નેતાએ ઊઠાવ્યા સવાલ

2026-09-07 18:46:07
Author: Mumbai Samachar Team
'6 વર્ષ યરવડા જેલમાં રહ્યો, છતાં મરાઠી ન શીખ્યો': સંજય દત્તના નિવેદનથી રાજકારણ ગરમાયું, ભાજપના નેતાએ ઊઠાવ્યા સવાલ

મુંબઈ: બોલીવુડના અભિનેતા સંજય દત્ત ફરી એકવાર પોતાના રમૂજી અંદાજને કારણે ચર્ચામાં આવ્યા છે. મુંબઈમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈક સાથે સ્ટેજ શેર કરતી વખતે સંજય દત્તને મરાઠીમાં બોલવા માટે કહેવામાં આવ્યું હતું. તેના જવાબમાં અભિનેતાએ યરવડા જેલમાં વિતાવેલા સમયનો ઉલ્લેખ કરતાં એવો જવાબ આપ્યો હતો કે કાર્યક્રમમાં હાજર લોકો હસી પડ્યા. જોકે, હવે આ જ નિવેદનને લઈને સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કાર્યક્રમના વીડિયોમાં સંજય દત્ત અને પ્રતાપ સરનાઈક એકસાથે સ્ટેજ પર જોવા મળે છે. કાર્યક્રમ દરમિયાન મરાઠી ભાષા અંગે વાત કરતાં પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે હાલમાં તેઓ લોકોને મરાઠી શીખવી રહ્યા છે. સરનાઈકનું આ નિવેદન તેમના વિભાગ સાથે જોડાયેલા તાજેતરના નિર્ણયના સંદર્ભમાં હતું. મુંબઈમાં ઓટો-રિક્ષા ચલાવનારાઓ માટે કામ ચાલુ રાખવા માટે કેટલીક જરૂરી મરાઠી વાક્યોની સમજને મહત્વ આપવામાં આવી રહી છે. આ નિર્ણયને લઈને અગાઉથી જ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

આ જ વાતચીત દરમિયાન પ્રતાપ સરનાઈકે સંજય દત્તને પણ મરાઠીમાં બોલવા માટે કહ્યું. તેમણે મજાકિયા અંદાજમાં કહ્યું કે સંજય દત્ત હિન્દીમાં બોલે છે, પરંતુ અહીં હાજર લોકો તેમની વાત સમજી શકે છે. મંત્રીની વાત સાંભળીને કાર્યક્રમમાં હળવું હાસ્ય ફેલાયું હતું. 
પ્રતાપ સરનાઈકના આગ્રહ બાદ સંજય દત્તે માઇક સંભાળ્યો અને પોતાના જાણીતા બેફામ અંદાજમાં જવાબ આપ્યો. તેમણે કહ્યું કે તેઓ છ વર્ષ યેરવડા જેલમાં રહ્યા હતા, પરંતુ ત્યાં રહીને પણ મરાઠી સંપૂર્ણપણે શીખી શક્યા નહોતા. સંજય દત્તે સાથે એ પણ સ્વીકાર્યું કે તેમણે થોડું ઘણું મરાઠી જરૂર શીખ્યું હતું. અભિનેતાનો આ જવાબ સાંભળીને સ્ટેજ પર હાજર લોકોની પ્રતિક્રિયા જોવા મળી હતી અને વાતાવરણ હળવું બન્યું હતું.

આ દરમિયાન સંજય દત્તે પ્રતાપ સરનાઈક સાથેના પોતાના જૂના સંબંધનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કાર્યક્રમમાં આમંત્રણ આપવા બદલ સરનાઈકનો આભાર માન્યો અને જણાવ્યું કે બંનેની મિત્રતા લગભગ 25 વર્ષ જૂની છે. સંજય દત્તે સરનાઈકને પોતાનો જૂનો મિત્ર અને ભાઈ પણ ગણાવ્યો. સંજય દત્તનો આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ જોવા મળી રહી છે.

કેટલાક લોકોએ અભિનેતાના રમૂજી જવાબની પ્રશંસા કરી અને કહ્યું કે તેમણે ગંભીર પ્રશ્નને પણ પોતાના અંદાજમાં હળવો બનાવી દીધો. કેટલાક યુઝર્સે તેમના બેફામ અને મજાકિયા સ્વભાવને પણ પસંદ કર્યો. જોકે, બીજી તરફ કેટલાક લોકોએ આ મુદ્દે સવાલો ઉઠાવ્યા છે. સોશિયલ મીડિયા પર એવી દલીલ કરવામાં આવી રહી છે કે જો કોઈ સામાન્ય ઓટો-રિક્ષા ચાલક મરાઠી ભાષાને લગતી શરતો અંગે આવો જ જવાબ આપે, તો શું તેની સાથે પણ આટલી જ સહજતા રાખવામાં આવશે?

આ કારણે સંજય દત્તનું નિવેદન હવે માત્ર એક રમૂજી પ્રસંગ પૂરતું મર્યાદિત રહ્યું નથી અને તે ભાષાના નિયમો તથા સામાન્ય લોકો પર તેની અસર અંગેની ચર્ચા સાથે જોડાઈ ગયું છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે સંજય દત્તના મહારાષ્ટ્ર સાથેના લાંબા સંબંધને ધ્યાનમાં રાખીને પણ સવાલો કર્યા છે. સંજય દત્તનો જન્મ મુંબઈમાં થયો છે અને તેમનું મોટા ભાગનું જીવન મહારાષ્ટ્રમાં જ પસાર થયું છે. 
આવી સ્થિતિમાં તેઓ મરાઠીમાં સરળતાથી વાતચીત કેમ કરી શકતા નથી, તે અંગે પણ ચર્ચા થઈ રહી છે. ટીકાકારોનું કહેવું છે કે અભિનેતાએ પોતે જ છ વર્ષ યેરવડા જેલમાં રહ્યા હોવા છતાં મરાઠી ન શીખી શક્યા હોવાનું જણાવ્યું છે. જોકે, તેમના સમર્થકોનું કહેવું છે કે આ વાતને ગંભીર બનાવવાની જરૂર નથી, કારણ કે સંજય દત્તે માત્ર મજાકિયા અંદાજમાં પરિસ્થિતિને હળવી કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ સમગ્ર મામલે ભાજપના ધારાસભ્ય નરેન્દ્ર મહેતાએ પ્રતાપ સરનાઈકને નિશાન બનાવ્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે જો કોઈ જાણીતી વ્યક્તિ મરાઠી ન બોલી શકે તો તેને લઈને હળવાશથી વાત કરવામાં આવે છે, પરંતુ સામાન્ય ઓટો-રિક્ષા ચાલકો માટે મરાઠી ભાષાને લઈને નિયમો અને કડકાઈ શા માટે? 
તેમણે સવાલ ઉઠાવ્યો કે એક તરફ સામાન્ય રિક્ષાચાલકોને ભાષાના નિયમોનું પાલન કરવા માટે દબાણનો સામનો કરવો પડે છે, જ્યારે બીજી તરફ કોઈ જાણીતી વ્યક્તિ મરાઠી ન જાણતી હોય તો તે બાબતને હાસ્ય-મજાકમાં લેવામાં આવે છે. મહેતાએ આ મામલે પ્રતાપ સરનાઈકની કથની અને કરણીમાં તફાવત હોવાનો આરોપ પણ લગાવ્યો છે.