અમદાવાદઃ મધ્યપૂર્વમાં અત્યારે સ્થિતિ વધારે તણાવપૂર્ણ છે, સતત હુમલાના સમાચાર પ્રકાશમાં આવતા રહે છે ત્યારે સાઉદી અરેબિયામાં ઉમરાહની પવિત્ર યાત્રાએ ગયેલા લોકો ફસાયા હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ હતી. હવે ઉમરાહની પવિત્ર યાત્રાએ ગયેલા 210 જેટલા ગુજરાતી પાછા વતન આવતા એરપોર્ટ પર ભાવુક દ્રશ્યો સર્જાયા હતાં. સુરક્ષિત રીતે લોકો ભારત પરત ફરવાને કારણે પરિવારના સભ્યોની આંખોમાં ખુશીના આંસુ જોવા મળ્યાં હતાં. મધ્યપૂર્વના તણાવપૂર્ણ માહોલ વચ્ચે પણ ભારત સરકારે આ લોકોને સુરક્ષિત રીતે વતન પાછા લાવ્યા છે.
210 નાગરિક હેમખેમ ઘરે પાછા ફર્યા
ભારત સરકાર અને વિદેશ મંત્રાલયે કરેલી સકારાત્મક કાર્યવાહીના પરિણામે આ તમામ 210 નાગરિકો હેમખેમ પોતાના પરિવાર પાસે પહોંચી શક્યા છે. મુસાફરોની વાત કરવામાં આવે તો ભાારત સરકારે 210 ભારતીયને પાછા વતન આવ્યા છે, જેમાં 205 મુસાફરોને જેદાહથી સીધા જ ઈન્ડિગોની ફ્લાઈટ 6E 8623માં અમદાવાદ લાવવામાં આવ્યાં છે. આ ફ્લાઈલ ગતરાત્રે 11 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. આ સાથે બાકીના પાંચ મુસાફરોને દુબઈથી રિલીફ ફ્લાઈટ દ્વારા મુંબઈ અને ત્યાંથી ટ્રેન મારફતે સુરત ખાતે પહોંચાડવામાં આવ્યાં હતાં.
યુદ્ધના માહોલ વચ્ચે અનેક ફ્લાઈટ રદ્દ
વતન પરત આવેલા લોકોનું કહેવું છે કે, યુદ્ધના માહોલ વચ્ચે અનેક ફ્લાઈટો રદ્દ થઈ ગઈ હતી. જેના કારણે ત્યાં હોટલના ભાડામાં પણ વધારો થઈ ગયો હતો, જેથી આ લોકો ટેન્શનમાં આવી ગયા અને ભારત સરકાર પાસે મદદ માંગી હતી. આ ફ્લાઈટ આ મુસાફરો માટે ખરેખર આશીર્વાદ સમાન સાબિત થઈ છે. આ માટે ભારત સરકાર અને વિદેશ મંત્રાલય સહિત સ્થાનિક ધારાસભ્યો અને હજ કમિટીનો આ લોકોને ખૂબ જ આભાર માન્યો છે.
સરકારની કામગીરીની કરી પ્રશંસા
ખાસ કરીને વાત કરવામાં આવે તો, વિશ્વમાં જ્યારે પણ તણાવની સ્થિતિ સર્જાય છે ત્યારે ભારત સરકાર અને વિદેશ મંત્રાયલ દ્વારા જેતે દેશમાં રહેતા ભારતીય લોકોને મદદ કરવા માટે પૂરતા પ્રયત્ન કરવામાં આવ્યાં છે. આ વખતે પણ ભારત સરકારે સતત મધ્યપૂર્વના દેશો સાથે સંપર્ક રાખીને ભારતીયોની સુરક્ષા માટે સમયસૂચકતા દેખાડી છે, જેના કારણે જ આ ભારતીયો પાછા હેમખેમ ભારત આવી શક્યાં છે. તેમના ચહેરા પર દેખાતા ખુશી ભારત સરકારના કાર્યની સાક્ષી પૂરે છે.