(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના વહીવટી માળખામાં મોટો ફેરફાર કરતા કુલ ૫૯ તાલુકા વિકાસ અધિકારીની તાત્કાલિક અસરથી બદલીના આદેશો જારી કરવામાં આવ્યા હતા. 37 અધિકારીઓની સ્વ વિનંતીથી અને 22 અધિકારીની જાહેર હિતમાં બદલી કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર, પંચમહાલ, પાટણ, ખેડા, બનાસકાંઠા, તાપી, ગાંધીનગર, નવસારી, આણંદ, સુરત, દાહોદ, સાબરકાંઠા, મહેસાણા, જૂનાગઢ, ભરૂચ, રાજકોટ, છોટા ઉદેપુર, મોરબી, વાવ થરાદ, કચ્છ, અમરેલી, ભાવનગર, દેવભમી દ્વારકા, વલસાડ, નર્મદા સહિતના જિલ્લામાંથી બદલી કરવામાં આવી હતી.
આ બદલીઓમાં રાજ્યના વિવિધ જિલ્લાઓના મહત્વના તાલુકાઓનો સમાવેશ થાય છે. જેમાં ખાસ કરીને જાંબુઘોડાના ટીડીઓ ધવલકુમાર લીંબાસીયાને સમી, શંખેશ્વરના નિતીનકુમાર ચૌધરીને ખેડબ્રહ્મા અને હારીજના દેવપ્રિયાબા ઝાલાને વિજાપુર ખાતે નિમણૂંક આપવામાં આવી હતી.
તે જ રીતે, નડિયાદના ટીડીઓ નિમેશકુમાર પટેલની વાલોડ અને આણંદના રોનકકુમાર પટેલની સોજીત્રા ખાતે બદલી કરવામાં આવી હતી. આ ઉપરાંત, કેટલાક અધિકારીઓને વિકાસ કમિશનર અને ગ્રામ વિકાસ કમિશનરની કચેરીમાં ચીટનીશ તરીકે પણ મૂકવામાં આવ્યા હતા.