અમદાવાદઃ ગુજરાત સરકારે વિધાનસભામાં લેખિત જવાબમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર બ્લડ ટ્રાન્સફ્યુઝનની ગવર્નિંગ બોડીની કોઈ બેઠક યોજાઈ નથી, જેના કારણે રિજનલ બ્લડ ટ્રાન્સફ્યુઝન સેન્ટર ફ્રેમવર્ક હેઠળ બ્લડ બેંકની માન્યતા સંબંધિત 33 અરજીઓ પેન્ડિંગ છે.
જામજોધપુરના વિધાનસભ્ય હેમંતભાઈ હર્ષદભાઈ આહિર (આપ) દ્વારા પૂછવામાં આવેલા લેખિત સવાલના જવાબમાં રાજ્ય સરકારે માહિતી આપી હતી કે વર્ષ 31 ડિસેમ્બર, 2025 સુધીના છેલ્લા બે વર્ષમાં ગર્વનિંગ બૉડીની એક પણ બેઠક મળી નથી. બેઠક ન મળી હોવાના કારણો વહીવટી હોવાનું પણ સરકારે જણાવ્યું હતું.
બેઠકોની ગેરહાજરીને કારણે આરબીટીસી સિસ્ટમ હેઠળ બ્લડ બેંકોને માન્યતા આપવા માટે 33 અરજીઓ પેન્ડિંગ રહી છે. રાજ્યભરની બ્લડ બેંકોની સુગમ કામગીરી અને નિયમનકારી પાલન માટે આ માન્યતાઓ આવશ્યક છે.
બાકી દરખાસ્તોને મંજૂર કરવા માટેની સમયમર્યાદા અંગે, સરકારે જણાવ્યું હતું કે ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર બ્લડ ટ્રાન્સફ્યુઝનની ગવર્નિંગ બોડીની બેઠક બોલાવાયા પછી અરજીઓનો નિકાલ કરવામાં આવશે.
Gscbt