ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનનો મુદ્દો ગુંજ્યો હતો. જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ રાજ્યમાં કમોસમી વરસાદ કે માવઠાના કારણે ખેડૂતોને સહાય ચૂકવવા અંગે પ્રશ્ન પૂછ્યો હતો.
કોણે પૂછ્યો પ્રશ્ન
ખેડાવાલાએ પ્રશ્ન કર્યો કે, 31-01-2026ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ કે માવઠાના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગે કેટલી અરજી મળી હતી, કેટલા ખેડૂતોને સહાય ચૂકવી અને કેટલા ખેડૂતોને સહાય ચૂકવવાની બાકી છે.
સરકારે શું આપ્યો જવાબ
તેમના પ્રશ્નનો જવાબ આપતાં કૃષિ પ્રધાને જણાવ્યું, 30,71,823 ખેડૂતો તરફથી સહાય માટેની અરજી કરવામાં આવી હતી. ખેડૂતોને નુકસાનગ્રસ્ત વિસ્તાર મુજબ નિયત થયેલી સહાય ધોરણ મુજબ ચૂકવવામાં આવે છે. કુલ 30,24,447 ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી છે અને 34,564 ખેડૂતોને સહાય ચૂકવવાની બાકી છે.
કયારે જાહેર કર્યું હતું પેકેજ
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ચૂકવવા માટે રૂપિયા 10,000 કરોડનું રાહત પેકેજ 7 નવેમ્બરે જાહેર કર્યું હતું. સરકારે જાહેરાત કરી હતી કે ખેડૂતોને રૂપિયા 22,000 પ્રતિ હેક્ટરના હિસાબે વળતર ચૂકવાશે અને ખેડૂત દીઠ મહત્તમ બે હેક્ટર સુધીની જમીન માટે વળતર ચૂકવવામાં આવશે.