Sat Apr 25 2026

Logo

ગુજરાત AAPનું સોશિયલ મીડિયા પેજ સસ્પેન્ડ, કેજરીવાલે કહ્યું - BJP કેમ આટલી ડરે છે?

2026-04-25 15:14:16
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાશે. મતદાન પૂર્વે AAP ગુજરાતનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કરાતાં ચકચાર મચી ગઈ હતી. કન્ટેન્ટ ચોરી મામલે AAP ગુજરાત વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ગુજરાતી ફિલ્મોના કન્ટેન્ટનો ગેરકાયદે ઉપયોગ કરતા કાર્યવાહી કરવામાં આવી હતી. કોપીરાઈટ ભંગના કારણે AAPનું ડિજિટલ પ્લેટફોર્મ બ્લોક કરવામાં આવ્યું હતું. આ અંગે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ એક્સ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેને AAP સંયોજક અરવિંદ કેજરીવાલે રિટ્વિટ કરીને લખ્યું કે, આખરે ભાજપ AAPથી આટલી કેમ ડરે  છે?

કેજરીવાલે રીટ્વિટ કરીને લખ્યું, ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા FB અને ઈન્સ્ટા પેજ બ્લોક કરવામાં આવ્યા છે. ભાજપ કેમ આટલી ડરી ગઈ છે? ઈસુદાન ગઢવીએ વીડિયોમાં કહ્યું, છેલ્લા 28 દિવસમાં આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર 8 કરોડ લોકો આવ્યા છે. છેલ્લા 28 દિવસમાં ચૂંટણી પ્રચારના કારણે મોટી સંખ્યામાં ફોલોઅર્સ વધ્યા છે. જે આમ આદમી ઘરે બેઠા છે તે કદાચ રોજ પર નથી આવી શકતા કે આપના કાર્યકર્તા સાથે નથી આવી શકતા, તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સરકારની નીતિઓ સામે ઈન્ટરએક્શન કરતા હતા. તેનાથી ભાજપ એટલી ડરી ગઈ કે FB અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ કરાવી દીધા.

આ ઉપરાંત ઈસુદાને કહ્યું, 28 દિવસમાં આશરે 8 કરોડ લોકો આ પ્લેટફોર્મ સાથે જોડાયા હતા. તેમાં ડરવાની શું જરૂર હતી. તમારે કામ સુધારવાની જરૂર હતી. તમે લોકોને ડરાવાનું, ધમકાવવાનું અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બંધ કરાવવાનું કામ કરો છે.  ગુજરાતની જનતા તમને તેનો જવાબ આપશે. ગુજરાતના લોકો હવે જાગૃત થઈ ગયા છે.

પેજ સસ્પેન્ડ કરવાના ટાઈમિંગ પર ઉઠ્યા સવાલ

મતદાનના ગણતરીના કલાક પહેલાં જ AAP દ્વારા ભાજપના FB અને ઈન્સ્ટાગ્રામ પેજ સસ્પેન્ડ કરવાના ટાઈમિંગ પર સવાલ ઉઠાવ્યા છે.  AAPએ ભાજપ પર જાણીજોઈને તેમની પહોંચ રોકવાનો આરોપ લગાવ્યો હતો. પક્ષના પ્રવક્તા અનુરાગ ઢાંઢાએ કહ્યું કે, ગમે તેટલી મુશ્કેલી હોય AAP તેનું કેમ્પેન ચાલુ રાખશે. જોકે  ભાજપ તરફથી આ આરોપો પર કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.