ગાંધીનગરઃ રાજ્યમાં ખાદ્ય ચીજ વસ્તુઓમાંથી વિવિધ વસ્તુઓ નીકળવાનો સિલસિલો યથાવત્ રહ્યો હતો. અમદાવાદમાં પાણીપુરીમાંથી હાડકાનો ટુકડો નીકળ્યા બાદ ગાંધીનગરમાં આવેલી પિત્ઝા આઉટલેટમાંથી વંદો નીકળવાની ઘટના સામે આવી હતી.
શું છે મામલો
ગાંધીનગરના કુડાસણમાં આવેલી એક પિત્ઝા શોપમાં ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. ટેરાનોવાસ પિત્ઝા'બાય વન ગેટ વન ફ્રી'ની સ્કીમ હોવાથી એક યુવક પરિવાર સાથે અહીં પિત્ઝા ખાવા આવ્યો હતો. તેણે વિવિધ ઓર્ડર આપ્યા હતા. પિત્ઝા આવ્યા બાદ તેણે બાઈટ લીધી ત્યારે તેમાં ચીઝ અને સોસની વચ્ચે એક મોટો વંદો જોવા મળ્યો હતો. આ જોઈ પરિવાર ચોંકી ઉઠ્યો હતો અને મોઢામાં રહેલો કોળિયો પણ થૂંકી નાખ્યો હતો.
પિત્ઝામાંથી વંદો નીકળતાં જ ગ્રાહકે તાત્કાલિક આ અંગે રેસ્ટોરન્ટના મેનેજર અને હાજર સ્ટાફને જાણ કરી હતી. આ સમયે કોઈ જાગૃત નાગરિકે આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં કંડારી લીધો હતો. આ વાયરલ વીડિયોમાં પિત્ઝાના ટુકડામાં વંદો સ્પષ્ટપણે જોઈ શકાય છે.
ગત મહિને અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત એક્સપ્રેસમાં પિરસવામાં આવતા ભોજનમાં જંતુઓ જોવા મળ્યાનો એક મુસાફરે આરોપ લગાવ્યો હતો. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, યુઝર આદિત્ય ડિડવાણિયાએ દાવો કર્યો હતો કે તેમના કોચમાં આવા ઓછામાં ઓછા બે કિસ્સા નોંધાયા હતા, જેના કારણે મુસાફરો પોતે ઓર્ડર કરેલું ભોજન ખાઈ શક્યા ન હતા. તેમણે કેટરિંગ કંપનીની ઓળખ મેસર્સ બ્રાન્ડવન ફૂડ પ્રોડક્ટ્સ તરીકે કરી, જે આર કે ગ્રુપનો ભાગ છે.