અમદાવાદઃ ખાદ્યતેલના ડબ્બા કથિત રીતે નાના થતા જાય છે અને ભાવમં કોઈ ફેર પડતો ન હોવાનો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહાસચિવ દર્શન એ. નાયકે કર્યો હતો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો, જેમાં તેલ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ અને સરકાર વચ્ચે મિલીભગત હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.
નાયકે પરંપરાગત ૧૫ કિલો/૧૫-લિટર ખાદ્ય તેલના પેકને ૧૨.૫-૧૩ કિલો/લિટર વેરિઅન્ટમાં ઘટાડવા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો અને શું કાનૂની મેટ્રોલોજી વિભાગ દ્વારા કોઈ સત્તાવાર સૂચના જારી કરવામાં આવી હતી કે કેમ તેવો સવાલ તેમણે કર્યો હતો. આ સાથે જો માત્રામાં ઘટાડો થોય છે તો પછી ભાવ કેમ ઘટ્યા નથી તેવો સવાલ કરી, સંગ્રહખોરી, કૃત્રિમ અછત અને કથિત કાર્ટેલાઇઝેશન સામે કાર્યવાહીની વિગતો માંગી હતી.
ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઘણી બ્રાન્ડ્સમાં પેકેટ અથવા ડબ્બાના કદમાં ઘટાડો થયો છે, પરંતુ કિંમતોમાં વધારો ચાલુ રહ્યો છે, જે ગ્રાહકોની આર્તિક લૂંટ છે. નાયકે આ બાબતની ઉચ્ચ સ્તરીય તપાસ અને કડક કાર્યવાહીની માંગ કરી હતી.